Congress President Election: બુધવારે થશે મત ગણતરી, 22 વર્ષ બાદ પાર્ટીને મળશે ‘બિન-ગાંધી અધ્યક્ષ’
ગાંધી પરિવારના નજીકના અને ઘણા વરિષ્ઠ નેતાઓના સમર્થનના લઈને ખડગેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. મતદાન પહેલા સોનિયા ગાંધીએ મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું હતું, 'હું આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી'.
કોંગ્રેસ અધ્યક્ષ પદની (Congress President Election) ચૂંટણી માટે બુધવારે મતગણતરી થશે અને તેની સાથે જ 22 વર્ષ બાદ બિન-ગાંધી કોઈ નેતા દેશની સૌથી જુની પાર્ટીના અધ્યક્ષ ચૂંટવામાં આવશે. કોંગ્રેસ (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ સહિત લગબગ 9500 ડેલીગેટે પાર્ટીના નવા અધ્યક્ષની ચૂંટણી માટે સોમવારે મતદાન કર્યુ હતું.
કોંગ્રેસ સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટીના પ્રમુખ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે લગભગ 96 ટકા મતદાન થયું. મલ્લિકાર્જૂન ખડગે અને શશિ થરૂર આ ચૂંટણીમાં ઉમેદવાર છે. ગાંધી પરિવારના નજીકના અને ઘણા વરિષ્ઠ નેતાઓના સમર્થનના લઈને ખડગેની દાવેદારી મજબૂત માનવામાં આવી રહી છે. મતદાન પહેલા સોનિયા ગાંધીએ મીડિયાના સવાલોના જવાબમાં કહ્યું હતું, ‘હું આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી’.
22 વર્ષ બાદ થઈ અધ્યક્ષ પદની ચૂંટણી
કોંગ્રેસના લગભગ 9900 ડેલીગેટ પાર્ટી પ્રમુખ પસંદ કરવા માટે મતદાન કરવા લાયક હતા. કોંગ્રેસ મુખ્યાલય સહિત લગભગ 68 મતદાન કેન્દ્રો પર મતદાન થયું. કોંગ્રેસ પાર્ટીના 137 વર્ષના ઈતિહાસમાં છઠ્ઠીવાર અધ્યક્ષ પદ માટે ચૂંટણી થઈ છે. પાર્ટી મહાસચિવ જયરામ રમેશ મુજબ અધ્યક્ષ પદ માટે અત્યાર સુધી વર્ષ 1939, 1950, 1977 અને 2000માં ચૂંટણી થઈ છે. આ વખતે 22 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે.
આ વખતે બિન-ગાંધી બનશે અધ્યક્ષ
તેમને જણાવ્યું કે આ ચૂંટણીથી 22 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. આ પહેલા સીતારામ કેસરી બિન-ગાંધી અધ્યક્ષ રહ્યા હતા. થરૂરે મતદારોને પરિવર્તન અપનાવવા સાહસ બતાવવાનું આહ્વાન કરતા રવિવારે કહ્યું હતું કે તે જે પરિવર્તન વિશે વિચારી રહ્યા છે, તેમાં પાર્ટીના મૂલ્યોમાં કોઈ ફેરફાર નહીં થાય અને માત્ર લક્ષ્ય પ્રાપ્ત કરવાની રીતોમાં પરિવર્તન આવશે. ત્યારે ખડગેએ રવિવારે કહ્યું હતું કે જો તેઓ અધ્યક્ષ બનશે તો તેમને પાર્ટીની બાબતોમાં ગાંધી પરિવારની સલાહ અને સહકાર લેવામાં કોઈ સંકોચ રહેશે નહીં, કારણ કે તે પરિવાર ખૂબ લડ્યો છે અને દેશના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.