મોરબી પુલ દુર્ઘટના મુદ્દે PM મોદીને બદનામ કરવા બદલ TMC પ્રવક્તાની ગુજરાત પોલીસે કરી ધરપકડ
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના વ્યક્તિ ગણાતા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે સોમવારે રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેની ગુજરાત પોલીસે સોમવારે મોડી રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. સાકેત ગોખલે પર મોરબીની ઘટના અંગે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. સાકેત ગોખલેની ધરપકડ કરી હોવાની માહિતી રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી હતી. ઓ’બ્રાયને ટ્વીટ કર્યું કે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સોમવારે સાકેતે 9 વાગ્યે નવી દિલ્લીથી જયપુર જવા માટે ફ્લાઈટ પકડી હતી. જ્યારે સાકેત જયપુર ઉતર્યો ત્યારે ગુજરાત પોલીસ જયપુર એરપોર્ટ પર તેની રાહ જોઈને ઉભી હતી અને સાકેતની ધરપકડ કરવામાં આવી હતી.
ગોખલેનો ફોન અને સામાન જપ્ત
ઓ’બ્રાયનના જણાવ્યા મુજબ, સાકેતની ધરપકડ બાદ પોલીસે સાકેતને ધરપકડ અંગે જાણ કરવા માટે તક આપી હતી. સાકેતે મંગળવારે સવારે 2 વાગ્યે તેની માતાને ફોન કર્યો હતો અને કહ્યું કે ગુજરાત પોલીસ, તેને જયપુરથી અમદાવાદ લઈ જઈ રહી છે અને તે બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે. પોલીસે તેને માત્ર બે મિનિટ માટે પરિવારજનને ફોન કોલ કરવાની મંજૂરી આપી અને પછી સાકેતનો ફોન અને તેનો તમામ સર સામાન જપ્ત કરી લીધો છે.
PM મોદીને બદનામ કરવાનો આરોપ
1 ડિસેમ્બર, 2022 ના રોજ, TMC પ્રવક્તા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પુલ તૂટી પડવાની ઘટના પછી PM મોદીની ગુજરાતમાં મોરબી ખાતેની માત્ર થોડા કલાકો માટેની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કથિત અહેવાલને ટાંકીને ગોખલેએ દાવો કર્યો હતો કે રૂ. 5.5 કરોડ માત્ર રિસેપ્શન, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી માટે હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરની કિંમત 135 લોકોના જીવથી વધુ છે. કારણ કે દુર્ઘટનાનો ભોગ બનેલા 135 લોકોના પરિવારને માત્ર 4 – 4 લાખ રૂપિયા એક્સ-ગ્રેશિયા તરીકે આપવામાં આવ્યા હતા.
ગુજરાત ભાજપે ફેક ન્યૂઝ ગણાવ્યા
જો કે, ગુજરાત ભાજપે ગોખલેના ટ્વીટ પર આપવામાં આવેલી માહિતીને ફેક ન્યૂઝ ગણાવી હતી. ગુજરાત ભાજપે કહ્યું કે આવી કોઈ RTI ફાઈલ કરવામાં આવી નથી કે કોઈ RTIનો આવો કોઈ જવાબ આપવામાં આવ્યો. બીજેપી ગુજરાતે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે આ આખી ક્લિપિંગ બનાવટી છે, અને હકીકતમાં આવો કોઈ અહેવાલ ક્યાંય પ્રકાશિત પણ થયો નથી.
પુલ દુર્ઘટનામાં 135 લોકોના થયા હતા મૃત્યું
અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં મોરબી શહેરમાં પુલ ધરાશાયી થવાને કારણે 55 બાળકો સહિત કુલ 135 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 100 લોકો એકલા મોરબી જિલ્લાના રહેવાસી હતા.