ત્રિપુરા હિંસાનો મામલો દિલ્હી પહોંચ્યો, TMC સાંસદ ગૃહમંત્રીને મળ્યા, અમિત શાહે કહ્યું- CM બિપ્લબ દેબ પાસે માંગશે રિપોર્ટ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, તેમણે રવિવારે ત્રિપુરાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને રાજ્ય પાસેથી આ મામલે રિપોર્ટ પણ માંગશે.
ત્રિપુરામાં (Tripura) પોલીસની કથિત ક્રૂરતા અને પક્ષની પશ્ચિમ બંગાળ એકમ યુવા પાંખના સચિવ સયાની ઘોષની ધરપકડ અંગે તૃણમૂલ કોંગ્રેસના (TMC) સાંસદોએ સોમવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને (Amit Shah) મળ્યા હતા. બેઠક બાદ સાંસદ કલ્યાણ બેનર્જીએ જણાવ્યું કે, ગૃહમંત્રી અમિત શાહે આ મામલે ત્રિપુરાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે. તેમણે કહ્યું, અમે ગૃહમંત્રીને કહ્યું કે કેવી રીતે TMC નેતાઓની ધરપકડ કરવામાં આવી અને સાંસદોને માર મારવામાં આવ્યો. અમિત શાહે કહ્યું છે કે, તેમણે રવિવારે ત્રિપુરાના મુખ્યમંત્રી સાથે વાત કરી છે અને રાજ્ય પાસેથી આ મામલે રિપોર્ટ પણ માંગશે.
TMC સાંસદોએ ગૃહમંત્રી અમિત શાહની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું
આ પહેલા TMCના અનેક સાંસદોએ દિલ્હીમાં (Delhi) કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઓફિસની બહાર બેઠકની માગ સાથે પ્રદર્શન કર્યું હતું. TMC સાંસદોએ અમિત શાહને મળવા માટે સમય માંગ્યો હતો. બેઠકનો સમય ન આપવાને કારણે સાંસદો મંત્રાલયની બહાર ધરણા પર બેસી ગયા હતા. સયાની ઘોષની ત્રિપુરા પોલીસે રવિવારે હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરી હતી.
અમિત શાહને મળવા માટે પાર્ટીના 10-12 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ રવિવારે દિલ્હી પહોંચ્યું હતું. સોમવારે સવારે પક્ષના નેતાઓએ અહીં બેઠક યોજી હતી. સાંસદ સૌગત રોયે કહ્યું હતું કે, તેઓ સયાની ઘોષની ધરપકડનો વિરોધ કરશે. જ્યારે ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયને ટ્વિટ કર્યું કે, ત્રિપુરામાં ગુજરાત મોડલ. અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ આવી ફાસીવાદી નિર્દયતાને ક્યારેય સ્વીકારશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના સાંસદો દિલ્હી જવા રવાના થયા છે.
આ પહેલા ત્રિપુરા પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતા સયાની ઘોષની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરી હતી. ઘોષ પર શનિવારે રાત્રે સ્ટ્રીટ મીટિંગ દરમિયાન મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ધમકી આપવાનો આરોપ છે.
TMC નેતાઓએ આરોપ લગાવ્યો
બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે, પૂર્વ અગરતલા મહિલા પોલીસ સ્ટેશનની બહાર તેમના કાર્યકરોને ભાજપના સમર્થકોએ માર માર્યો હતો. જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે. એક ટ્વિટમાં, બેનર્જીએ ત્રિપુરાની ભાજપ સરકાર પર રાજકીય પક્ષોના શાંતિપૂર્ણ વિરોધ કરવાના અધિકારો પર સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન ન કરવાનો આરોપ લગાવ્યો.
આ પણ વાંચો : Punjab Assembly Election: અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, સરકાર બનશે તો મહિલાને દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે