Azadi ka Amrit Mohotsav લાલ કિલ્લાથી વિજય ચોક સુધી સાંસદોએ ઉત્સાહપૂર્વક ત્રિરંગા બાઇક યાત્રા કાઢી
સાંસદોએ બુધવારે લાલ કિલ્લાથી વિજય ચોક સુધી ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો હાજર રહ્યા હતા.
દેશ આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની (Azadi ka Amrit Mohotsav) ઉજવણી કરી રહ્યો છે. આ અંતર્ગત દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે સાંસદોએ બુધવારે લાલ કિલ્લાથી વિજય ચોક (Vijay Chowk) સુધી ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો હાજર રહ્યા હતા. આ દરમિયાન હાથમાં ત્રિરંગો લઈને આ સાંસદોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ત્રિરંગા બાઇક યાત્રાને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી (Union Minister Prahlad Joshi) અને પીયૂષ ગોયલ (Piyush Goyal) દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં સાંસદો પહોંચ્યા હતા.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે કહ્યું હતું કે સંસ્કૃતિ મંત્રાલયે બુધવારે સાંસદો માટે ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કર્યું છે. તેમણે તમામ રાજકીય પક્ષોના સાંસદોને આ રેલીમાં હાજરી આપવા વિનંતી કરી હતી. આવી સ્થિતિમાં બુધવારે સવારે સાંસદો લાલ કિલ્લા પર એકઠા થવા લાગ્યા હતા. જોશીએ એમ પણ કહ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે, ભાજપ દ્વારા નહીં.
#WATCH | Delhi: Tiranga Bike Rally for MPs being taken out from Red Fort. The rally will end at Vijay Chowk near the Parliament pic.twitter.com/g1yzPMe1WU
— ANI (@ANI) August 3, 2022
ભાજપ પ્રમુખે કરી હતી અપીલ
સંસદીય દળની બેઠકમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 9 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે યોજાનાર વિવિધ કાર્યક્રમો વિશે પણ ચર્ચા કરી હતી. તેમણે બીજેપી સાંસદોને ‘હર ઘર ત્રિરંગા’ ઝુંબેશ પર ભાર મૂકીને પોતપોતાના સંસદીય ક્ષેત્રના લોકોને જોડવા વિનંતી કરી હતી. નડ્ડાએ પાર્ટીના નેતાઓને સવારે 9 થી 11 વચ્ચે પ્રભાતફેરી કરવા અને પાર્ટીના યુવા પાંખના નેતાઓને હર ઘર તિરંગા ઝુંબેશને લોકપ્રિય બનાવવા માટે બાઇક દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવા માટે કહ્યું છે.
ભાજપના નેતાઓ પ્રભાતફેરી કાઢશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે દરેકને તેમના ઘરે ત્રિરંગો લગાવવાની અપીલ કરી હતી. હર ઘર તિરંગા ઝુંબેશ અંતર્ગત દરેકને તેમના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું છે કે પાર્ટીના નેતાઓ 11 થી 13 ઓગસ્ટ સુધી બૂથ સ્તર પર પ્રભાતફેરી કરશે અને આ દરમિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રિય ભજનમાંનુ એક રઘુપતિ રાઘવ રાજા રામ, અને રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવામાં આવશે. તેમના સંબોધનમાં, નડ્ડાએ સાંસદોને આ કાર્યક્રમો દરમિયાન તેમની હાજરી સુનિશ્ચિત કરવા કહ્યું હતું અને તેમને તે બૂથ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું જ્યાં ભાજપે છેલ્લી ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું ન હતું.