TIME મેગેઝિને 100 પ્રભાવશાળી લોકોની યાદી કરી જાહેર, ભારતના આ બે વ્યક્તિઓનો પણ સમાવેશ, જુઓ સંપૂર્ણ યાદી
ટાઈમ્સ મેગેઝીને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની વાર્ષિક યાદી બહાર પાડી છે. આમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સ્થાન મળ્યું છે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને પણ સ્થાન મળ્યું છે.
ઉદ્યોગપતિ ગૌતમ અદાણી (Gautam Adani) અને એડવોકેટ કરુણા નંદીને સોમવારે TIME મેગેઝિનની 2022ના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ યાદીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન, ટેનિસ ખેલાડી રાફેલ નડાલ, એપલના સીઈઓ ટીમ કૂક અને ટીવી શો હોસ્ટ ઓપ્રા વિન્ફ્રેનો સમાવેશ થાય છે. આ યાદીને છ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. આ કેટેગરીમાં આઈકોન્સ, પાયોનિયર્સ, ટાઈટન્સ, કલાકારો, નેતાઓ અને ઈનોવેટર્સનો સમાવેશ થાય છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની ‘ટાઈમ’માં 13મી વખત સ્થાન મેળવ્યું છે. તેમના સિવાય પુતિન 10મી વખત, બાઈડને પાંચમી વખત સ્થાન મેળવ્યું છે. અદાણીને અમેરિકન હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે અને Apple CEO ટીમ કૂક જેવા લોકોની સાથે ટાઇટન્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે, જ્યારે નંદીને લીડર્સ કેટેગરીમાં સ્થાન મળ્યું છે. વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને પણ આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા છે.
અદાણી ‘ટાઈમ’ શું કહે છે
ટાઈમમાં અદાણીની પ્રોફાઇલ જણાવે છે કે, “અદાણીનો એક સમયનો પ્રાદેશિક વ્યવસાય હવે એરપોર્ટ, ખાનગી બંદરોથી લઈને કન્ઝ્યુમર ગુડ્સ સુધી વિસ્તર્યો છે. અદાણી ગ્રૂપ વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થામાં રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી કંપની છે, જો કે અદાણી લોકોની નજરથી દૂર રહીને શાંતિથી પોતાનું સામ્રાજ્ય બનાવી રહ્યા છે.
મેગેઝિને કરુણા નંદીને મહિલા અધિકારોની હિમાયતી ગણાવી હતી
મેગેઝીને કરુણા નંદી વિશે કહ્યું છે કે તે માત્ર એક વકીલ જ નથી, પરંતુ એક કાર્યકર પણ છે જે કોર્ટરૂમની અંદર અને બહાર પરિવર્તન માટે હિંમતભેર અવાજ ઉઠાવે છે. તે કહે છે કે તે મહિલા અધિકારોની હિમાયતી છે, તેણે બળાત્કાર વિરોધી કાયદાઓમાં સુધારાની હિમાયત કરી છે અને કાર્યસ્થળ પર જાતીય સતામણી સંબંધિત કેસ લડ્યા છે. તાજેતરમાં જ તેણી વૈવાહિક બળાત્કારને કાયદેસર મુક્તિ આપતા ભારતીય કાયદાને પડકારતા કેસમાં સામેલ થઈ છે.