રૂ.10 હજાર કરોડના ખર્ચે દેશના ત્રણ રેલવે સ્ટેશન રિડેવલપ થશે, મુસાફરોને મળશે વિશેષ સુવિધા
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે 10,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આ રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરતા મુસાફરોને વિશેષ સુવિધા મળી શકશે. આ સાથે બેઠકમાં અન્ય ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.
દેશના ત્રણ મોટા શહેરોમાંથી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. હકીકતમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે 10,000 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે આ રેલવે સ્ટેશનો પરથી મુસાફરી કરતા મુસાફરોને વિશેષ સુવિધા મળી શકશે. બેઠક બાદ માહિતી આપતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે નવી દિલ્હી (New Delhi), છત્રપતિ શિવાજી (Mumbai) અને અમદાવાદ (Ahmedabad) રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટે રૂ. 10,000 કરોડ મંજૂર કર્યા છે. હાલમાં કુલ 199 રેલવે સ્ટેશનના પુનઃનિર્માણનું કામ પણ ચાલી રહ્યું છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે રેલવે સ્ટેશન શહેરના બંને ભાગોને જોડતી લિંક બનવું જોઈએ. સ્ટેશન સુધી પહોંચવા માટે 50 વર્ષનું આયોજન હોવું જોઈએ. પાટા અને પ્લેટફોર્મ પર રૂફ પ્લાઝા બનાવવામાં આવ્યા હતા. જેના પર વેઇટિંગ એરિયા, ફૂડ પ્લાઝા વગેરે છે. આ બધા માટે શરૂઆતમાં ત્રણ મોટા શહેરોના સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે.
ગરીબોને વધુ 3 મહિના મફત રાશન મળશે
કેન્દ્રીય કેબિનેટે ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 કરોડ લોકોને ત્રણ મહિના માટે રાશન વધારવાની મંજૂરી આપી છે. માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. તહેવારો દરમિયાન લોકોમાં ખુશીઓ રહેવી જોઈએ, તેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી 122 લાખ મેટ્રિક ટન અનાજનો ખર્ચ થશે અને 80 કરોડ લોકોને ફાયદો થશે. તેના પર કુલ 44,762 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
કેન્દ્રીય કર્મચારીઓને ભેટ
કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા ભેટ પણ આપી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) 4% વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે અગાઉ માર્ચ મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાનો વધારો કર્યો હતો.