ભારતે પડોશી દેશો અંગે પોતાની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર, અફઘાનિસ્તાન સંકટ પર એનસીપી નેતા પ્રમુખ શરદ પવારનું નિવેદન
સોમવારે અહીં એરપોર્ટ પર હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. કારણ કે તેઓ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે દોડધામ કરી રહ્યા હતા અને વિમાનમાં ચડવા માટે દોડી આવ્યા હતા.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે સોમવારે કહ્યું હતું કે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને પગલે ભારતે તમામ પડોશી દેશો અંગે તેની વિદેશ નીતિની સમીક્ષા કરવાની જરૂર છે. અફઘાનિસ્તાન ઉપર આવેલા સંકટ વિશે પૂછવામાં આવતા તેમણે પત્રકારોને કહ્યું, આપણે સતર્ક રહેવું જોઈએ અને લાંબા ગાળાની સાવચેતી રાખવી જોઈએ. એક સમય હતો જ્યારે ચીન અને પાકિસ્તાનને છોડીને અન્ય પડોશી દેશો સાથે અમારા સારા સંબંધો હતા.
ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રીએ કહ્યું, ‘અન્ય દેશોને લઈને આપણી વિદેશ નીતિની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. પરિસ્થિતિ સારી નથી, પણ આ સંવેદનશીલ મુદ્દો છે. અમે સરકારને આ મુદ્દે સહકાર આપીશું કારણ કે તેમાં રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે.અફઘાનિસ્તાનની સરકારના પતન બાદ અને રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડ્યા બાદ તાલિબાન આતંકવાદીઓએ રાજધાની કાબુલ પર કબજો કરી લીધો હતો. અફઘાનિસ્તાનની રાજધાનીમાં અરાજકતાની સ્થિતિ છે જ્યાં ડરી ગયેલા લોકો કોઈ પણ ભોગે દેશમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સોમવારે અહીં એરપોર્ટ પર હજારો લોકોની ભીડ એકઠી થઈ હતી. કારણ કે તેઓ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે દોડધામ કરી રહ્યા હતા અને વિમાનમાં ચડવા માટે દોડી આવ્યા હતા. અમેરિકન સૈનિકોએ દેશ છોડવા માટે ફેલાયેલી આ અરાજકતાની પરિસ્થિતિને સંભાળવા માટે ચેતવણી તરીકે ગોળીબાર કર્યો. રાજધાનીમાં તણાવની પરીસ્થિતી છે, મોટા ભાગના લોકો તેમના ઘરોમાં છુપાયેલા છે અને મોટા ચોકમાં તાલિબાન લડવૈયાઓ તૈનાત છે.
ઘણા લોકો આ અંધાધૂંધીથી ડરી ગયા છે કારણકે તાલિબાને હજારો કેદીઓને મુક્ત કરી દીધા છે. ભૂતકાળમાં તાલિબાની શસન હતું ત્યારે તેના ક્રૂર શાસનની યાદોથી લોકો ડરી રહ્યા છે.
અમેરિકી દૂતાવાસ ખાલી કરાવવામાં આવ્યું
અમેરિકી દૂતાવાસને ખાલી કરાવવામાં આવ્યું છે અને અમેરિકન ધ્વજ નીચે ઉતારી દેવામાં આવ્યો છે. રાજદ્વારીઓને એરપોર્ટ પર ખસેડવામાં આવ્યા છે. અન્ય પશ્ચિમી દેશોએ પણ તેમના દૂતાવાસો બંધ કરી દીધા છે અને તેના કર્મચારીઓ અને નાગરિકોને પરત બોલાવી રહ્યા છે.
અફધાનિસ્તાન પર કબજો જમાવવા માટે તાલિબાનો જે ઝડપથી આગળ વધી રહ્યા છે તેને જોઈને અમેરિકી અધિકારીઓ પણ સ્તબ્ધ છે. કારણકે અમેરિકી સૈન્યોએ અંદાજ લગાવ્યો હતો કે તેમને (તાલિબાન) રાજધાની પર કબજો કરવામાં મહિનાઓ વીતી જશે.
આ પણ વાંચો : Maharashtra: શું અનિલ દેશમુખની ધરપકડનો માર્ગ થયો મોકળો ? સુપ્રીમ કોર્ટે તરફથી કોઈ રાહતનાં સમાચાર નહી