કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારાશે, આગામી સપ્તાહ સુધીમાં લેવાશે નિર્ણય
પુનાની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ કોરોનાની વેક્સિન ( Corona vaccine ) કોવિશિલ્ડને બે ડોઝ વચ્ચેનું અંતર છથી આઠ સપ્તાહ કરવામાં આવ્યુ હતું. જે પહેલા બે ડોઝ વચ્ચેનું અંતર ચારથી છ સપ્તાહ હતું.
કોરોના વેક્સિન સંદર્ભે સરકારે રચેલી નિષ્ણાંતોની સમિતી, ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા કોવિશિલ્ડ (Covishield) રસીના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવાની ભલામણ કરશે. મળતી માહિતી અનુસાર, નિષ્ણાંતોની સમિતી, આંતરરાષ્ટ્રીય અભ્યાસ માટે એકઠા કરેલા પૂરાવાઓની સમિક્ષા કરી રહી છે. આ પુરાવાઓના પૃથ્થકરણથી એવુ કહેવાયુ છે કે કોવિશિલ્ડ વેક્સિનના ( Corona vaccine) બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધુ હોવો જોઈએ તો જ રસીની અસરકારતા વધે છે. આ અંગેનો આખરી નિર્ણય આગામી સપ્તાહના અંત સુધીમાં લેવાઈ જશે.
પૂનાની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (sis) દ્વારા ઉત્પાદિત કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર એપ્રિલમાં ચાર-છ અઠવાડિયાથી વધારીને છ-આઠ અઠવાડિયા કરવામાં આવ્યું છે. માર્ચમાં, ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત એક સંશોધન આધારિત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો બીજો ડોઝ 12 અઠવાડિયા પછી આપવામાં આવે તો કોવિશિલ્ડ 81.3% વધુ અસરકારક જણાઈ આવી છે.
શું કહે છે સંશોધન તબીબી વૈજ્ઞાનિકોના મતે, જ્યારે કોવિશિલ્ડના બે ડોઝ છ સપ્તાહથી ઓછા સમયમાં આપવામાં આવે છે ત્યારે તેની અસરકારતા, 55.1 ટકા જણાઈ આવી છે. . બ્રિટન અને બ્રાઝિલના પરીક્ષણના ડેટા મુજબ, જો બીજો ડોઝ એક મહિના પછી આપવામાં આવે તો કોવિશિલ્ડ વેક્સિનની અસરકારતા ઓછામાં ઓછી 90 ટકા સફળ રહી છે. યુકે અને કેનેડા જેવા અન્ય દેશોમાં, રસીના બે ડોઝ 12 અઠવાડિયાથી 16 અઠવાડિયાના અંતર વચ્ચે આપવામાં આવે છે. નિષ્ણાંતો કહે છે કે આવા સમયમાં રસી લીધા પછી રસીની અસર વધુ અસરકારક રહે છે.
ડોક્ટરનું કહેવુ છે કે, પ્રથમ ડોઝ અથવા રસીનું ઈન્જેકશન લીધા પછી એન્ટિબોડીઝ બનતા ઓછામાં ઓછા 2 થી 3 અઠવાડિયા લાગે છે. પ્રથમ ડોઝથી લોકોના શરીરમાં ધીરે ધીરે એન્ટિબોડીઝ વિકાસ પામે છે, પરંતુ બીજા ડોઝથી, આ પ્રક્રિયા વધુ ઝડપી બને છે. તેથી, પ્રથમ સંશોધન મુજબ, વેક્સિનના બંને ડોઝ વચ્ચે ઓછામાં ઓછું 28 દિવસનું અંતર રાખવુ જરૂરી છે. ઘણા દેશમાં બે ડોઝ વચ્ચેનું અંતર ત્રણ મહિના રાખે છે જેથી કરીને બાકીના લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ ઝડપથી આપી શકાય અને લોકોને કોરોનાની મહામારીથી સુરક્ષિત કરી શકાય.
અંતર વધારવાથી બે ફાયદા મળતી માહિતી મુજબ, જો ભારતમાં કોરોનાની રસીના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો બે ફાયદા થઈ શકે છે. એક, વેક્સિનની રાતોરાત ઊભી થયેલી જબ્બર માંગ ઓછી થશે અને દેશની મોટા ભાગની વસ્તીને તે સમયગાળામાં વધુને વધુ લોકોને વેક્સિનના પ્રથમ ડોઝ આપી શકાશે. આ ઉપરાંત, વેક્સિનનો બીજો ડોઝ મેળવવા માટે લોકોની ભીડ ઓછી થાય તો, પહેલો ડોઝ આપવામાં વધુ ઝડપ રહેશે. અન્ય એક સંશોધન મુજબ, કોરિયા રોગચાળા નિયંત્રણ અને નિવારણ એજન્સી (kdca) ના તાજેતરના ડેટા દર્શાવે છે કે 60 વર્ષ કે તેથી મોટી ઉમરના લોકોને અપાયેલા એસ્ટ્રાઝેનેકા રસીના પ્રથમ ડોઝ પછી ઓછામાં ઓછા બે અઠવાડિયા પછી તેની અસરકારકતા 86. ટકા જણાઈ આવી છે.
કોરોનાને લગતા અન્ય તમામ સમાચાર જાણવા અહીયા ક્લિક કરોઃ કોરોનાના સમાચાર