Yasin Malik: આજે આતંકવાદી યાસીનના ગુનાઓનો કરાશે હિસાબ ! આજીવન કેદ કે ફાંસી ? કોર્ટ ચુકાદો સંભળાવશે
દિલ્હીની તિહાર જેલમાં બંધ આતંકવાદી યાસીન મલિકની (Yasin Malik) સજા પર આજે નિર્ણય આવી શકે છે. મલિકને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે.
કાશ્મીર (Kashmir) ના આતંકવાદી યાસીન મલિક (Yasin Malik) ની સજા અંગેનો નિર્ણય આજે દિલ્લીની વિશેષ અદાલતમાં (Special Court) આવી શકે છે. મલિક ઉપર જે આરોપ અનુસાર કેસ નોંધાયો છે તે મુજબ ઓછામાં ઓછી આજીવન કેદ અને મહત્તમ મૃત્યુદંડની સજા થઈ શકે છે. આ સિવાય કોર્ટ દંડ પણ લગાવી શકે છે. NIA કોર્ટે 19 મેના રોજ યાસીનને દોષિત જાહેર કર્યો હતો. અને તેને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી હતી પરંતુ તેમણે તેમના પર લાગેલા કોઈપણ આરોપોને નકાર્યા ન હતા.
આતંકવાદી યાસિન મલિક પર ગુનાહિત કાવતરું, દેશ વિરુદ્ધ યુદ્ધ, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો આરોપ હતો. હવે આતંકવાદી યાસીન મલિકને તેના ગુનાઓની સજા આપવાનો આજનો દિવસ છે. કોર્ટ શું નિર્ણય કરે છે તે જોવાનું રહેશે. યાસીને પોતાનો વકીલ પાછો ખેંચી લીધો હતો. તેણે તેની છેલ્લી સુનાવણીમાં તેના પર લાગેલા તમામ આરોપો સ્વીકારી લીધા હતા.
ગુનાની કબૂલાત કરી હતી
જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના વડા યાસિન મલિકે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળના આરોપો સહિત આતંકવાદને નાણાં પૂરા પાડવાના કેસમાં તમામ આરોપો સ્વીકાર્યા છે. 19 મેના રોજ સ્પેશિયલ જજ પ્રવીણ સિંહે આતંકવાદી યાસિન મલિકને દોષિત ઠેરવ્યો હતો અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને તેની નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા કહ્યું જેથી તેના પર દંડ લાદવામાં આવે.
યાસીન મલિક, શબીર શાહ, મસરત આલમ, ભૂતપૂર્વ ધારાસભ્ય રશીદ એન્જિનિયર, ઉદ્યોગપતિ ઝહૂર અહેમદ શાહ વટાલી, બિટ્ટા કરાટે, આફતાબ અહેમદ શાહ, અવતાર અહેમદ શાહ, નઈમ ખાન, બશીર અહેમદ ભટ ઉર્ફે પીર સૈફુલ્લા સહિત કાશ્મીરી અલગતાવાદી નેતાઓ છે. તેમના પર ગુનાહિત કાવતરું રચવા, દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવા અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપો પણ મૂકવામાં આવ્યા છે.