ચોકાવનારો ખુલાસોઃ ઘરની છત પર કરાટેની આડમાં અપાતી હતી આતંકી ટ્રેનિંગ, PFI આપતુ હતુ રૂપિયા
દાવો કરવામાં આવે છે કે કરાટેની આડમાં આતંકી તાલીમ આપવામાં આવી રહી હતી. તાલીમમાં ચાકુ, છરી, લોખંડના સળિયા વગરે સાધનો દ્વારા મોતને ઘાટ ઉતારવા માટેની તાલીમ આપવામાં આવી હતી.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ગુરુવારે સવારે જ 10 રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ના વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહારની સાથે કર્ણાટક, કેરળ, તેલંગાણા, આસામ અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં આવા 40 સ્થળો છે. જ્યાં NIA અને EDએ સાથે મળીને દરોડા પાડ્યા છે. દરોડામાં ખુલાસો થયો છે કે કરાટે ટ્રેનિંગની આડમાં લોકોને આતંકી ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
NIA દ્વારા નોંધાયેલા PFI કેસમાં એક મોટો ચોકાવનારો ખુલાસો થયો છે કે નિઝામાબાદથી ધરપકડ કરાયેલા કરાટે શિક્ષક અબ્દુલ કાદરની કબૂલાત બાદ જ તપાસ એજન્સીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દાવો કરવામાં આવે છે કે કરાટેની આડમાં આતંકી તાલીમ આપવામાં આવી રહી હતી. તાલીમમાં ચાકુ, છરી, લોખંડના સળિયા વગેરે સાધનો દ્વારા મોતને ઘાટ ઉતારવાની તાલીમ આપવામાં આવી હતી.
છત પર જ તાલીમ આપવામાં આવી હતી
પીએફઆઈના નેતાઓની સલાહ બાદ જ અબ્દુલ ખાદર ઉર્ફે અબ્દુલ કાદરે પોતાના ઘરની છત પર ટ્રેનિંગ સેન્ટર તૈયાર કર્યું હતું. આ ટ્રેનિંગ સેન્ટરમાં અલગ-અલગ બેચમાં 5 દિવસની આતંકવાદી તાલીમ આપવામાં આવી હતી. તેના બદલામાં PFI અબ્દુલ કાદરને દર મહિને મોટી રકમ આપતું હતું.
આ ટ્રેનિંગ સેન્ટરમાં હથિયારોની ટ્રેનિંગ આપવા ઉપરાંત હેટ સ્પીચ દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ પણ કરવામાં આવતું હતું. આ સાથે તેને એક ખાસ ધર્મ તરફ પણ ઉશ્કેરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ તાલીમ શિબિરમાં માત્ર ચોક્કસ સમુદાયના યુવાનોને જ તાલીમ આપવામાં આવી હતી.
દર મહિને દાન તરીકે મોટી રકમ
પૂછપરછ દરમિયાન અબ્દુલ કાદરે એ પણ જણાવ્યું કે દર મહિને લોકો પાસેથી દાન તરીકે મોટી રકમ રોકડમાં લેવામાં આવતી હતી. અબ્દુલ કાદરના ઈશારે પીએફઆઈના અન્ય ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન, એનઆઈએ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સવારે 10 રાજ્યોમાં કથિત રીતે આતંકવાદી ધિરાણમાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોના સ્થળ પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન, NIA અને ED એ આતંકવાદીઓને કથિત રીતે સમર્થન આપવા બદલ લગભગ 100 PFI કાર્યકરોની અટકાયત કરી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દરોડા મુખ્યત્વે દક્ષિણ ભારતમાં પાડવામાં આવી રહ્યા છે અને NIAએ તેને અત્યાર સુધીનું સૌથી મોટું તપાસ ઓપરેશન ગણાવ્યું છે.
પીએફઆઈએ દરોડા સંદર્ભે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, પીએફઆઈના રાષ્ટ્રીય, રાજ્ય સ્તરીય અને સ્થાનિક નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્ય સમિતિના કાર્યાલય પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પીએફઆઈએ એમ પણ કહ્યું કે, “વિરોધના અવાજને દબાવવા માટે ફાસીવાદી શાસન દ્વારા કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગનો અમે સખત વિરોધ કરીએ છીએ.”