સામાન્ય લોકો આવતીકાલે સવારે 11 વાગ્યાથી કરી શકશે CDS રાવતના અંતિમ દર્શન
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મૃતદેહોની ઓળખ થઈ છે તે તેમના સંબંધીઓને મોકલી દેવામાં આવશે, જ્યારે બાકી લોકોની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવશે.
તામિલનાડુના નીલગિરિ જિલ્લામાં બુધવારે એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં (Helicopter Crash) ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 11 જવાનોના મૃત્યુ પર સમગ્ર દેશ શોકમાં છે. સૌ કોઈ ભીની આંખો સાથે બહાદુર પુત્રોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. આ અકસ્માતનો ભોગ બનેલા 13 લોકોમાંથી 4ની ઓળખ થઈ ગઈ છે જ્યારે અન્યની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મૃતદેહોની ઓળખ થઈ છે તે તેમના પરીવારજનોને મોકલી દેવામાં આવશે, જ્યારે બાકી લોકોની ઓળખ ન થાય ત્યાં સુધી તેમને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવશે. અને ઓળખની ઔપચારિકતા પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના સ્વજનોને સન્માન સાથે સોંપવામાં આવશે.
PM મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલે આપી શ્રદ્ધાંજલિ
બુધવારે થયેલા અકસ્માત બાદ આજે તમામ મૃતદેહોને દિલ્હીના પાલમ એરબેઝ પર લાવવામાં આવ્યા હતા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, NSA અજીત ડોભાલ સહિત ત્રણેય સેના પ્રમુખો અને શહીદ જવાનોના પરિવારજનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. . આ પછી હવે શુક્રવારે સામાન્ય નાગરિકો CDS જનરલ બિપિન રાવતના અંતિમ દર્શન કરી શકશે.
આવતીકાલે અંતિમ સંસ્કાર થશે
પ્રાપ્ત માહિતી અનુસાર, સામાન્ય નાગરિકો આવતીકાલે સીડીએસ જનરલ બિપિન રાવતને 11-12.30 વાગ્યે CDS કારજ માર્ગ સ્થિત નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી શકે છે. જ્યારે લશ્કરી કર્મચારીઓ 12.30-13.30 વચ્ચે શ્રદ્ધાંજલિ આપી શકે છે. આ પછી, અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દિલ્હી કેન્ટ બ્રાર સ્ક્વેર પર લઈ જવામાં આવશે. જ્યારે લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા બ્રિગેડિયર એલએસ લિદ્દરના અંતિમ સંસ્કાર આવતીકાલે સવારે 9.15 વાગ્યે દિલ્હી કેન્ટમાં કરવામાં આવશે.
આગામી 15 દિવસમાં નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત થઈ શકે છે
આગામી 15 દિવસમાં નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જાહેરાત થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીની બેઠકમાં આગામી સીડીએસ પર ચર્ચા કરવામાં આવી હતી. જનરલ બિપિન રાવત ભારતના પહેલા CDS હતા, જેમનું બુધવારે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.