રસીકરણ મુદ્દે દખલગીરી ના કરવા કેન્દ્રને સુપ્રિમકોર્ટની ટકોર
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ પણ કર્યું છે કે 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવાની મંજૂરી ફક્ત એટલા માટે આપવામાં આવી છે કે ઘણા રાજ્યો તેની માંગ કરી રહ્યા છે
સતત રસીકરણની નીતિથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો છે. કેન્દ્ર સરકારે રવિવારે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે આ કેસમાં ન્યાયિક દખલની જરૂર નથી.
કેન્દ્ર સરકારે પોતાના સોગંદનામામાં સ્પષ્ટ પણ કર્યું છે કે 18 થી 44 વર્ષની વયના લોકોને રસી આપવાની મંજૂરી ફક્ત એટલા માટે આપવામાં આવી છે કે ઘણા રાજ્યો તેની માંગ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારે વેક્સિન નિર્માતાઓ પાસેથી રાજ્યોમાં નક્કી કરેલ કિંમતે રસી પૂરી પાડવા કહ્યું છે.
એ જાહેર થઈ ચૂક્યુ છે કે, રસી ઉત્પાકદ કંપની, કેન્દ્ર અને રાજ્યોને અલગ અલગ ભાવે રસી આપી રહી છે. કેન્દ્ર સરકાર રસીના એક જ ડોઝ માટે 150 રૂપિયા ચૂકવે છે, ત્યારે તે જ રસી માટે રસી ઉત્પાદક રાજ્યો પાસેથી 300 અને 400 રૂપિયા લે છે. જો કે, કેન્દ્ર સરકારે આનો બચાવ કરતા કહ્યું છે કે કેન્દ્ર સરકાર રસી માટે ઓછી રકમની ચુકવણી કરી રહ્યું છે કારણ કે રસી ઉત્પાદક કંપનીએ રસીનો મોટો જથ્થો આપ્યો છે.
સોગંદનામામાં કેન્દ્ર સરકારે કહ્યું, ‘એ નોંધવું મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકારે તેના વ્યાપક રસીકરણ અભિયાન માટે રસીના મોટા ઓર્ડર આપ્યા છે. આ ઓર્ડર રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો કરતા ઘણા મોટા છે. તેથી, તેની અસર કિંમત પર પણ દર્શાવવામાં આવી હતી. સોગંદનામા મુજબ, જુદા જુદા ભાવો ખાનગી રસી ઉત્પાદકો માટે એક સ્પર્ધાત્મક બજાર બનાવશે, પરિણામે રસીનું ઉત્પાદન વધશે અને વધારે ભાવ પણ નહીં વધે. જ્યારે વિદેશી રસી ઉત્પાદકોને દેશમાં રસી બનાવવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવશે.
કેન્દ્રએ એમ પણ કહ્યું હતું કે કિંમતોમાં આ તફાવતની અસર લોકોને નહી થાય, કારણ કે તમામ રાજ્યોએ જાહેરાત કરી છે કે તેઓ કોરોનાની રસી નાગરિકોને નિ શુલ્ક આપશે.
આ પછી, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, આવશ્યક દવાઓ અને કોરોનાને લગતી અન્ય સામગ્રીના સપ્લાય સંબંધિત સુઓમોટો કેસમાં સુપ્રિમ કોર્ટે કોઈ આદેશ આપવો જોઈએ નહીં. સરકારે કહ્યું છે કે આ રોગચાળાને લગતી તમામ નીતિઓ તબીબી નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સલાહના અંતે ચર્ચા વિચારણા દ્વારા ઘડાતી હોય છે. તેથી આવા કિસ્સામાં ન્યાયિક દખલનો અવકાશ નહિવત્ છે.