બાબા રામદેવની પીટિશન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી, જાણો હવે ક્યારે થશે સુનાવણી ?
બાબા રામદેવની પીટિશન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. બાબા રામદેવ પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન એલોપેથી અને ડૉક્ટરો વિરુધ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે.
બાબા રામદેવની (Baba Ramdev) પીટીશન પર ગયા બુધવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી થઇ હતી. કોર્ટે રામદેવનું એલોપેથિક નિવેદન વાળુ ઇન્ટરવ્યૂ એડિટ કર્યા વગર માગ્યુ હતું. આ કેસમાં અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલી FIR ને દિલ્લી ટ્રાંસફર કરવાની માગ કરી હતી. જેને લઇ આજે કોર્ટમાં સુનાવણી થવાની હતી.
સુપ્રીમ કોર્ટે રામદેવની પીટિશન પર સુનાવણીને ટાળી દીધી છે. હવે સુનાવણી આવતા સોમવારે થશે. કોર્ટે પીટીશનના જવાબમાં કહ્યુ કે બાબા રામદેવના ડોક્યુમેન્ટ અમને મોડા મળ્યા હતા અમે હજી વાંચ્યા નથી એટલે સુનાવણી આવતા સોમવારે થશે.
હકીકતમાં બાબા રામદેવ પર એક ઇન્ટરવ્યૂ દરમિયાન એલોપેથી અને ડૉક્ટરો વિરુધ્ધ ટિપ્પણી કરવાનો આરોપ છે. રામદેવ તરફથી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યુ કે, સ્વામીજીએ સ્પષ્ટીકરણ આપ્યુ હતું. ડૉક્ટરો માટે તેમના મનમાં પૂરુ સમ્માન છે. ગયા વર્ષે પતંજલિએ કોરોનિલ દવા બહાર પાડી અને ડૉક્ટરોએ તેનો વિરોધ કર્યો હતો. તો તેમણે કોરોનિલ પાછી લીધી. તમામને બોલવાની અને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. વાયરલ વીડિયો આંશિક વીડિયો હતો.
મુકુલ રોહતગીએ કહ્યુ કે બાબા રામદેવનો જે વીડિયો વાયરલ થયો છે તે સાચો નથી. અમે સાચો વીડિયો કોર્ટમાં જમા કરાવીશુ તેમણે કહ્યુ કે સ્વામી રામદેવને લઇને દેશભરમાં વિભિન્ન શહેરોમાં એફઆઇઆર નોંધાઇ હતી. અમે ઇચ્છીએ છીએ કે બધી એફઆઈઆરને એકસાથે ક્લબ કરવામાં આવે અને તેને દિલ્લી ટ્રાંસફર કરવામાં આવે.
એલોપોથી અને આયુર્વેદ વચ્ચેની લડાઇમાં યોગગુરુ બાબા રામદેવ વિરુધ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કેસ નોંધવામાં આવ્યા છે. જેને લઇને બાબા રામદેવ સુપ્રીમ કોર્ટમાં એક પીટિશન દાખલ કરી.