કોરોનાથી થયેલા મોત પર વળતર નહીં આપવા પર સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોને લગાવી ફટકાર
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના સોંગદનામા પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે રાજ્ય સરકારને તરત વળતર ચૂકવવાનું શરૂ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કોર્ટ તરફથી કામ કરવા માટે મજબૂર કર્યા બાદ જ રાજ્ય સરકારો જાગી અને ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યુ.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવારે કોરોના (Corona)થી થયેલા મૃત્યુ પર પીડિત પરિવારોને વળતર ન આપવા બદલ રાજ્યોને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોને ફટકાર લગાવતા માનવતાવાદી અભિગમ અપનાવવા કહ્યું. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને કહ્યું કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક પણ વ્યક્તિને વળતર આપવામાં આવ્યું નથી. સાથે જ કહ્યું કે આ હાસ્યાસ્પદ છે અને તેને સ્વીકારી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના સોંગદનામા પર પણ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે રાજ્ય સરકારને તરત વળતર ચૂકવવાનું શરૂ કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કોર્ટ તરફથી કામ કરવા માટે મજબૂર કર્યા બાદ જ રાજ્ય સરકારો જાગી અને ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યુ. ઉત્તરપ્રદેશમાં 22,000 લોકોના મોત થયા, 16,518 અરજી પ્રાપ્ત થઈ અને 9,372 લોકોને વળતર મળ્યું.
10 ડિસેમ્બરે થશે કેસની આગામી સુનાવણી
સુપ્રીમ કોર્ટમાં કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરે થશે. ગયા મહિને જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે બે અઠવાડિયાની અંદર એક ઓનલાઈન પોર્ટલને તૈયાર કરવામાં આવશે. તેના દ્વારા કોવિડ 19થી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારજનો વળતર માટે દાવો કરી શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઘણા લોકો છે, જેમને કોરોના મહામારીના કારણે પોતાના સંબંધીઓ ગુમાવ્યા છે. આ લોકોને હાલમાં પણ વળતરની યોજના વિશે જાણકારી નથી. એવામાં સરકારે વ્યાપક પ્રચાર કરવો જોઈએ.
પરિવારોને 50,000 રૂપિયાનું વળતર આપશે રાજ્ય સરકાર
સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કોરોનાના કારણે જીવ ગુમાવનારા પરિવારોને રાજ્ય સરકાર 50,000 રૂપિયાનું વળતર આપશે. કોર્ટેને એ પણ જણાવવામાં આવ્યું હતું કે આ વળતર કોરોનાથી અત્યાર સુધી જીવ ગુમાવનારા લોકો સહિત ભવિષ્યમાં તેનો શિકાર થનારા લોકો સુધી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સોંગદનામું દાખલ કરી કહ્યું હતું કે આ પૈસાની ચૂકવણી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે રાજ્યો તેમના સંબંધિત ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડનો ઉપયોગ કરી શકે છે. ત્યારે આ નાણાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અથવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહેંચી શકાય છે.
પોતાના સોંગદનામામાં કેન્દ્રએ કહ્યું હતું કે ભવિષ્યમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોને પણ આગામી નોટિફિકેશન સુધી વળતર આપવામાં આવતું રહેશે. સાથે જ કહ્યું હતું કે આ વળતર તે લોકોને પણ આપવામાં આવશે, જે લોકો કોરોનાના બચાવ કાર્યમાં જોડાયેલા હતા અને સંક્રમણના કારણે તેમનું મોત થયું.