સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર લગાડ્યો હાલ પુરતો પ્રતિબંધ, હવે નહીં નોંધાય નવી FIR, જૂલાઇમાં આગામી સૂનાવણી
સુપ્રીમ કોર્ટે (Supreme Court)પોતાના આદેશમાં જણાવ્યું કે કાયદાના આ પ્રાવધાનનો ઉપયોગ કરવો ત્યાં સુધી યોગ્ય નથી જ્યાં સુધી પુનર્વિચારની પ્રક્રિયા પર્ણ ન થાય. અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર અને રાજ્ય 124A હેઠળ કોઈ પણ FIR નહીં નોંધે.
સુપ્રીમ કોર્ટમાં (Supreme court) રાજદ્રોહની કાયદાકીય યોગ્યતા માટે ચાલી રહેલી સૂનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે તેઓ પોલીસને દેશદ્રોહ (Sedition Law Case) ના પ્રાવધાન હેઠળ સંજ્ઞેય અપરાધ નોંધતા રોકી શકે નહીં. પરંતુ એક જ સક્ષમ અધિકારી (એસપીની રેન્કના ) ની ભલામણ બાદ જ 124 A ના કેસ નોંધી શકાય છે. તેમણે એમ કહ્યું કે પેન્ડિંગ રાજદ્રોહ મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી શકે છે. જોકે સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદાના ઉપયોગ પર હાલ પૂરતો પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે હવે નવી કોઈ FIR નોંધવામાં આવશે નહીં. અને આ અંગેની આગામી સૂનાવણી જૂલાઈમાં થશે.
બધા જ પક્ષોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં રાજદ્રોહ પર પ્રતિબંધ લગાવતા કહ્યું કે હવે નવી કોઈજ એફઆઇઆર નોંધવામાં આવશે નહીં. સાથે જ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જે લોકો આ કાયદા હેઠળ જેલમાં છે તેઓ રાહત માટે અદાલતના દરવાજા ખખડાવી શકે છે. સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને દેશદ્રોહ કાયદાની કલમ 124 A ઉપર પુર્નવિચાર કરવાની પરવાનગી પણ આપી છે.
પુર્નવિચાર પૂર્ણ ન થાય ત્યાં સુધી નહીં નોંધાય FIR
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદાના આ પ્રાવધાનનો ઉપયોગ ત્યાં સુધી કરવો યોગ્ય નથી જ્યાં સુધી તેના પર પુર્નવિચારની પ્રક્રિયા પૂર્ણ નથી થતી. કોર્ટે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે કેન્દ્ર અને રાજ્ય 124 A હેઠળ કોઈ પણ એફઆઇઆર નોંધવાની પ્રક્રિયા ન કરે. આ મ થાય તો આરોપીને કોર્ટમાં જવાની સ્વતંત્રતા હશે. આ અંગેની આગામી સૂનાવણી જૂલાઈના ત્રીજા સપ્તાહમાં થશે.
આ અંગે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સૂનાવણીમાં કહ્યું કે એસપી કેડરના અધિકારી જ આ અંગે કેસ નોંધી શકશે. અને જે પેન્ડિંગ કેસ છે તેની સમીક્ષા કરવામાં આવી શકે છે અને આ કાયદા પૈકી જે ઘણા કેસ છે તેમને જલદી જામીન આપવાનો વિચાર પણ કરવામાં આવશે. જોકે આ દરમિયાન અરજીકર્તા વકીલ સિબ્બલે વિરોધ કર્યો હતો. તેમણે અરજી પર સૂનાવણીની માંગ કરી હતી. કપિલ સિબ્બલે કહ્યું કે આ કાયદાને સરકાર પર ન છોડવો જોઈએ. તેમણે કાયદા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરતા કહ્યું કે આ કાયદા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની જરૂર છે. આ દરમિયાન સોલિસિટર જનરલના પ્રસ્તાવ પર વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટની 3 જજની પીઠ થોડી વાર માટે ઉઠી હતી અને પછી પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
દેશની વડી અદાલતે મંગળવારે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો. આ સમય એટલા માટે આપવામાં આવ્યો હતો કે બધા જ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો એ વાતનો જવાબ આપશે કે આઇપીસીની કલમ 124 A ની સમીક્ષા થઈ રહી છે ત્યાં સુધી જે તે રાજ્યમાં કેટલા કેસ નોંધાયેલા છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી.રમણે સૂનાવણી દરમિયાન પૂછ્યું કે રાજદ્રોહના કેસમાં કેટલા લોકો જેલામાં છે તે અંગે કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે આશરે 800 લોકો રાજદ્રોહના કેસમાં જેલમાં છે.
કલમ 124 એ પર પ્રતિબંધ લગાવવા માટે કેન્દ્રનો વિરોધ
કેન્દ્રએ આઇપીસીની કલમ 124 એ પર પ્રતિબંધ લગાવાવનો વિરોધ કર્યો છે. આ કાયદા માટે એવો પ્રસ્તાવ મૂક્યો હતો કે ભવિષ્યમાં આઇપીસીની કલમ 124 હેઠળ પ્રાથમિક પોલીસ અધિકારીની તપાસ બાદ જ કેસ નોંધી શકાશે. જ્યાં સુધી પેન્ડિંગ કેસની વાત છે તો તેના માટે અદાલતે જામીન માટે સત્વરે વિચાર કરવાનો નિર્દેશ આપવો જોઈએ.
સતત થતા દુરૂપયોગ અંગે વડી અદાલતે વ્યક્ત કરી ચિંતા
જોકે દેશી સર્વોચ્ચ અદાલતે પ્રાવધાનના સતત થતા દૂરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને એવું સૂચન કર્યું છે કે દૂરૂપયોગ રોકવા દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે. નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા અનુસાર 2014 અને વર્ષ 2019 વચ્ચે રાજદ્રોહના કાયદા હેઠળ કુલ 326 કેસ નોંધાયા હતા. તેમાંથી સૌથી વધુ કેસ 54 કેસ આસામમાં નોંધાયા હતા.