‘કોરોના માતા’ મંદિર તોડવા પર કોર્ટ પહોંચેલી મહિલાને સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો, લગાવ્યો 5000નો દંડ
જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દીપમાલા શ્રીવાસ્તવ નામની મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
સુપ્રીમ કોર્ટે (Supreme Court) કોરોના માતા મંદિર (Corona Mata Temple) તોડવાની વિરુદ્ધ કોર્ટનો દરવાજો ખખડાવનાર મહિલાને 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મહિલા ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં “કોરોના માતા મંદિર” તોડવાની વિરુદ્ધ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે મહિલાને કોર્ટનો સમય બગાડવા અને તેના અધિકારક્ષેત્રની પ્રક્રિયાનો દુરુપયોગ કરવા બદલ 5 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે દીપમાલા શ્રીવાસ્તવ નામની મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. દીપમાલાએ તેના પતિ સાથે મળીને વિવાદિત જમીન પર મંદિર બનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે મહિલાને દંડ ફટકારતા કહ્યું કે આ કોર્ટના અધિકારક્ષેત્રની પ્રક્રિયાનો દુરુપયોગ છે.
કોર્ટે કહ્યું- ચાર અઠવાડિયામાં દંડ જમા કરાવો
બેન્ચે તેના આદેશમાં કહ્યું અમારું માનવું છે કે આ સ્પષ્ટપણે ભારતના બંધારણની કલમ 32 હેઠળ આ કોર્ટના અધિકારક્ષેત્રની પ્રક્રિયાનો દુરુપયોગ છે. રિટ પિટિશનને ફગાવી દેવામાં આવી છે અને દંડની રકમ 5,000 રૂપિયા ‘સુપ્રીમ કોર્ટ એડવોકેટ ઓન રેકોર્ડ વેલ્ફેર ફંડ’માં ચાર સપ્તાહની અંદર જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગ્રામજનોએ મંદિરમાં પૂજા કરવાનું શરૂ કર્યું હતું
પ્રતાપગઢના શુક્લપુર ગામમાં લીમડાના ઝાડ નીચે ‘કોરોના માતા મંદિર’નું નિર્માણ એ આશામાં કરવામાં આવ્યું હતું કે દેવીના આશીર્વાદ મહામારીનો સામનો કરવામાં મદદ કરશે. અહેવાલ મુજબ ગ્રામજનોએ ‘કોરોના માતા’ની પ્રાર્થના કરવાનું પણ શરૂ કર્યું હતું. જેથી શુક્લપુર અને નજીકના ગામો પર કોવિડ -19નો પડછાયો ક્યારેય ન પડે. જોકે, 7 જૂન 2021ના રોજ બનેલું આ મંદિર 11 જૂને તોડી પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે. બીજી લહેર દરમિયાન જે ભયંકર પરિસ્થિતી સર્જાય હતી એના કારણે સમાજનો દરેક વર્ગ ડરી ગયો હતો. ખાસ કરીને અમુક ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાના ભયને કારણે લોકો અંધશ્રદ્ધાનો આશરો લેવા લાગ્યા હતા. લોકોને સત્ય સમજાવવુ ખૂબ કઠીન બની ગયુ હતું.
વેક્સીનેશનને લઈને પણ લોકોમાં ઘણી ગેરસમજ પ્રવર્તતી હતી. જેના કારણે અમુક ગામડાઓમાં લોકો રસી લેવા તૈયાર થતા ન હતા. કોરોનાના લક્ષણો દેખાય તો સારવાર કરાવવામાં પણ ડર અનુભવતા હતા. આવા બધા કારણોસર આરોગ્ય ટીમને ઘણી બધી મુશ્કેલી વેઠવી પડી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
ઝડપી વેક્સિનેશન જ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટેનું પ્રબળ હથિયાર હોય સરકાર પણ આ પ્રકારના અવરોધો દુર કરવા ઈચ્છતી હતી. આ માટે આરોગ્ય ટીમ જે તે ગામમાં વેક્સીનેશનના કાર્યક્રમ માટે મનોવૈજ્ઞાનિક ટીમ પણ સાથે લઈ જતી હતી તેમજ પ્રશાસન દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ભારત ટૂંક સમયમાં કોરોના રસીની નિકાસ શરૂ કરશે, અત્યાર સુધીમાં 6.6 કરોડથી વધુ રસીની કરી છે નિકાસ