Supreme Court એ 3 કરોડ રેશનકાર્ડ રદ કરવાને ગણાવ્યું ગંભીર, કેન્દ્ર અને રાજ્યો પાસેથી માંગ્યો જવાબ
આધાર સાથે લિંક ન હોવાને કારણે ત્રણ કરોડ રેશનકાર્ડ રદ કરવાના મુદ્દાને સુપ્રીમ કોર્ટે ગંભીર ગણાવ્યો છે. અને આ બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આધાર સાથે જોડાણ ન હોવાને કારણે ત્રણ કરોડ રેશનકાર્ડ રદ કરવાના મુદ્દાને ગંભીર ગણાવ્યો છે. બુધવારે કોર્ટે આ મામલે સુનાવણી કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો. ઝારખંડના રહેવાસી કોયલી દેવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આધાર સાથે લિંક ન હોવાને કારણે ત્રણ કરોડથી વધુ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. આને લીધે ભુખમરાનો સમય આવ્યો છે.આ મામલો ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની બેંચ સમક્ષ લાવામાં આવ્યો હતો. શરૂઆતમાં કોર્ટ કોઈ નોટિસ આપવા તૈયાર ન હતી.
કોર્ટે સંબંધિત હાઈકોર્ટમાં જવા કહ્યું હતું, પરંતુ અરજદાર વતી ઉપસ્થિત વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોંઝાલ્વિસે વિનંતી કરી હતી કે આ ગંભીર મુદ્દો છે. ત્રણ કરોડ રેશનકાર્ડ રદ કરાયા છે. આદિવાસી વિસ્તારોમાં ફિંગર પ્રિન્ટ અને આઇ સ્કેનિંગની સમસ્યા છે. ગોંઝાલ્વિસની દલીલો સાંભળ્યા પછી, બેંચે પણ તેને ગંભીર મુદ્દા તરીકે સાંભળવાની સંમતિ આપી. કોર્ટે કેન્દ્ર અને તમામ રાજ્યોને ચાર અઠવાડિયામાં જવાબ આપવાની નોટિસ ફટકારી છે. જો કે એડીશનલ સોલિસિટર જનરલ અમન લેખી, કેન્દ્ર સરકાર તરફથી હાજર હતા અને તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. લેખીએ કહ્યું કે ખાદ્ય સુરક્ષા કાયદામાં ફરિયાદ નિવારણની એક સિસ્ટમ છે. જો આધાર ઉપલબ્ધ ન હોય તો, વૈકલ્પિક દસ્તાવેજો સબમિટ કરી શકાય છે.
સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આધાર નહિ હોય તો ખાદ્યના અધિકારને નકારી શકાય નહીં. આ દલીલો પર ખંડપીઠે લેખીને કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. તમારે તેને વિરોધ અરજી તરીકે ન લેવી જોઈએ, જવાબ દાખલ કરવો જોઈએ. તેની સુનાવણી ચાર અઠવાડિયા પછી કરવામાં આવશે . 9 ડિસેમ્બર, 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે માન્ય રેશનકાર્ડ ન હોવાને કારણે રાશન સપ્લાયનો ઇનકાર કરવાના આરોપ પર તમામ રાજ્યો પાસેથી જવાબ માંગ્યા હતા. તે સમયે કોર્ટે રાજ્યોને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમની કલમ 14, 15 અને 16 હેઠળ ફરિયાદ નિવારણ પદ્ધતિ બનાવવા અંગે શું કર્યું છે તે સમજાવવા જણાવ્યું હતું. ત્યારે પણ કેન્દ્ર સરકારે ભૂખમરો મૃત્યુના આરોપોને નકારી દીધા હતા અને કહ્યું હતું કે અહેવાલ મુજબ ભૂખમરાને કારણે મોત થયું નથી.
અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કોયલી દેવીની 11 વર્ષની પુત્રીનું 2017 માં ભૂખમરાથી મૃત્યુ થયું હતું. આધારને લિંક ન કરવા બદલ ઓથોરિટીએ તેના પરિવારનું રેશનકાર્ડ રદ કર્યું હતું. પરિવારને રેશન મળતું ન હતું. જેણે પરિવારને ભૂખમરાના આરે પહોંચાડ્યો હતો. આ અરજીમાં જણાવાયું છે કે દેશભરમાં લગભગ ચાર કરોડ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. અગાઉ તેઓને બનાવટી કાર્ડ ગણીને રદ કરવાને ન્યાયી ઠેરવવામાં આવી રહ્યા હતા, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મામલે રેશનકાર્ડ ધારકોને ક્યારેય નોટિસ મોકલી નથી. પિટિશન પ્રમાણે તપાસ રિપોર્ટમાં રેશનકાર્ડ સાચા હોવાની બાબત પણ છે.