
NCP President Sharad Pawar & PM Modi
Image Credit source: Tv 9 Marathi
એનસીપી પ્રમુખ શરદ પવારે
(Sharad Pawar) આજે (6 એપ્રિલ, બુધવાર) વડાપ્રધાન નરેન્દ્ર મોદી
(PM Narendra Modi) સાથે બેઠક કરી છે. આ બેઠક દિલ્હીમાં 20 મિનિટ સુધી ચાલી હતી. આ બેઠક
સંસદના વડાપ્રધાન કાર્યાલયમાં થઈ હતી. હાલ આ બેઠકનું કારણ સ્પષ્ટ નથી. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર આ બેઠક દેશમાં વધી રહેલી મોંઘવારી અંગે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ બેઠક શિવસેના સાંસદ સંજય રાઉત પર EDની કાર્યવાહીના બીજા દિવસે થઈ હતી.
આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ બેઠક મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડીના નેતાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીના મુદ્દે તો નથી થઈ? આ દરમિયાન આજે સાંજે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં તેઓ મીટિંગનું કારણ જણાવી શકે છે.
સંજય રાઉતની સંપત્તિ જપ્ત કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારે તેમની સાથે ફોન પર વાત કરી હતી. આ પછી સંજય રાઉતે ગઈ કાલે રાત્રે શરદ પવારના ઘરે આયોજિત ડિનરમાં પણ હાજરી આપી હતી. ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરી પણ ગઈ કાલે શરદ પવારના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. આ પછી આજે શરદ પવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા છે.
શું શરદ પવાર ડેમેજ કંટ્રોલ કરવા PM સુધી પહોંચ્યા હતા?
એનસીપી નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ આર્થર રોડ જેલમાં છે. તેમના પર મની લોન્ડરિંગ અને 100 કરોડની વસૂલાતના મામલામાં ED અને CBIની તપાસ ચાલી રહી છે. આજે સીબીઆઈએ આર્થર રોડ જેલમાંથી 100 કરોડની વસૂલાતના સંદર્ભમાં અનિલ દેશમુખને પૂછપરછ માટે પોતાની કસ્ટડીમાં લીધા છે.
એનસીપીના અન્ય એક મોટા નેતા અને લઘુમતી મંત્રી નવાબ મલિક પણ જેલમાં છે. દાઉદ ઈબ્રાહિમ અને મુંબઈ બોમ્બ વિસ્ફોટ સાથે સંબંધિત લોકો સાથે જમીનના સોદા સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તાજેતરમાં શરદ પવારના પરિવાર સામે પણ EDની કાર્યવાહી કરવામાં આવી છે.
મુખ્યમંત્રીના પરિવાર સામે પણ EDની તપાસ ચાલી રહી છે. ગઈકાલે EDએ સંજય રાઉતની મિલકતો જપ્ત કરી હતી. તો શું આ તમામ કાર્યવાહી વચ્ચે શરદ પવાર ડેમેજ કંટ્રોલ માટે તો પીએમ મોદીને મળ્યા નથી? આ પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.
બીજી તરફ, રાજ્ય સરકાર પણ પોલીસ બળનો ઉપયોગ કરીને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને તેમના પુત્ર નિતેશ રાણે, વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવિણ દરેકર જેવા નેતાઓ સામે પગલાં લઈ રહી છે. આવી સ્થિતિમાં આ મુદ્દા પર બોલતા પ્રવીણ દરેકરે અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠીને કહ્યું કે શરદ પવાર ડેમેજ કંટ્રોલમાં નિષ્ણાત છે. પરંતુ પીએમ મોદી તેમની વાતમાં આવવાના નથી. તેમણે જે પણ નિર્ણય લીધો છે, તેમાં પીછે હટ થશે નહીં.