જમ્મુ-કાશ્મીરમાં ઈદની નમાજ બાદ સ્થિતિ વણસી, અનંતનાગમાં મસ્જિદની બહાર સુરક્ષા દળો પર પથ્થરમારો
કહેવામાં આવી રહ્યું છે કે આ પથ્થરમારો નમાજ બાદ કરવામાં આવ્યો છે. ઈદની નમાજ બાદ કેટલાક પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા અને કાશ્મીરને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
દેશમાં મંગળવારે ઈદનો (Eid) તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) ફરી પથ્થરમારાની ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ (Anantnag) સ્થિત એક મસ્જિદની બહાર સુરક્ષા દળોના જવાનો પર ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પથ્થરમારો ઈદની નમાજ બાદ કરવામાં આવ્યો છે.
એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે અનંતનાગની મસ્જિદમાં ઈદની નમાજ અદા કર્યા બાદ કેટલાક પ્રદર્શનકારીઓ રસ્તા પર આવી ગયા હતા અને કાશ્મીરને લઈને નારા લગાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન આ અસામાજિક તત્વો દ્વારા સુરક્ષા દળોને નિશાન બનાવીને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે સ્થિતિ હવે કાબુમાં હોવાની માહિતી મળી રહી છે. આ સાથે જ આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
રાજસ્થાનમાં પણ હિંસક અથડામણ
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ઈદના તહેવાર પર રાજસ્થાનમાં પણ બે સમુદાયો વચ્ચે અથડામણ જોવા મળી છે. સોમવારે રાત્રે જોધપુરના જલોરી ગેટ વિસ્તારમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. આ પછી રાત્રે પથ્થરમારાની ઘટના પણ સામે આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો સંભાળ્યો હતો. બીજી તરફ મંગળવારે સવારે ઈદની નમાજ બાદ આ વિસ્તારમાં ફરી સ્થિતિ વણસી હતી. ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જે બાદ પોલીસે ટીયરગેસના શેલ સાથે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
સ્થિતિ હવે નિયંત્રણમાં
આ ઘટના અંગે જોધપુર પોલીસ કમિશનરે કહ્યું છે કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોની ફ્લેગ માર્ચ કરવામાં આવશે. જૂથ અથડામણ મુદ્દે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં પોલીસકર્મીઓને સામાન્ય ઈજા થઈ છે. અમે તેની ગંભીરતાથી લઈને તપાસ કરી રહ્યા છીએ.
ગેહલોતે જોધપુરની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે સવારે આ ઘટના વિશે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે જોધપુરના જલૌરી ગેટ પાસે બે જૂથો વચ્ચે અથડામણને કારણે તણાવ ઉભો થયો છે. વહીવટીતંત્રને દરેક કિંમતે શાંતિ અને વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી છે. લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતી વખતે ગેહલોતે કહ્યું કે, જોધપુર, મારવાડની પ્રેમ અને ભાઈચારાની પરંપરાને માન આપીને હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અને કાયદો અને વ્યવસ્થા બનાવવામાં સહકાર આપવા અપીલ કરું છું.