ED સમક્ષ સતત બીજા દિવસે રાહુલ ગાંધી હાજર, ગેહલોતે PM Modi ને ચેતવણી આપતા કહ્યુ, દેશ માફ નહીં કરે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભગવાને તમને દેશના પીએમ બનવાનો મોકો આપ્યો છે. સીબીઆઈ, ઈન્કમટેક્સ કે ઈડી સાથે દેશની જનતા સાથે આવું વર્તન ના કરો, નહીં તો દેશ તમને ક્યારેય માફ નહીં કરે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે સતત બીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. સોમવારે રાહુલ ગાંધીની EDએ લગભગ સાડા આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો રાહુલ ગાંધી સામેની કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના (Congress) તમામ મુખ્યમંત્રીઓ દિલ્લીમાં છે અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પર નિશાન સાધતા કહ્યું કે દેશ તમને ક્યારેય માફ નહીં કરે. અશોક ગેહલોતે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં કહ્યું કે, દિલ્લી પોલીસ પર સરકારના દબાણની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. અમે કલમ 144 સમજી શકીએ છીએ, પરંતુ તમે અમને કોંગ્રેસ કાર્યાલયમાં આવતા અટકાવી શકતા નથી. દેશમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે.
અશોક ગેહલોતે પીએમ મોદીને સલાહ આપતાં એમ પણ કહ્યું કે, હું મોદીજીને કહેવા માંગુ છું કે ભગવાને તમને દેશના પીએમ બનવાનો મોકો આપ્યો છે. સીબીઆઈ, ઈન્કમટેક્સ કે ઈડી સાથે દેશની જનતા સાથે આવું વર્તન ના કરો, નહીં તો દેશ તમને ક્યારેય માફ નહીં કરે. વડાપ્રધાન પદનું સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે અને હું આ વાત વડાપ્રધાનના સન્માન સાથે કહેવા માંગુ છું. કાયદો દરેક માટે સમાન છે, પરંતુ રાત્રે 12 વાગ્યા સુધી કોઈને પણ પ્રશ્નો કરવા એ ખોટું છે.
કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ EDની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, “ઈડી જે રીતે આ મામલાને હેન્ડલ કરી રહી છે, રાહુલ ગાંધીની ગઈકાલ સોમવારે કેટલાક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી અને આજે મંગળવારે ફરીથી બોલાવવામાં આવ્યા. તેમાં રાજકીય વેરભાવના અંગેના એજન્ડાની ગંધ આવે છે. આ પગલાંથી રાહુલ ગાંધી અને કોંગ્રેસનો અવાજ બંધ નહીં થાય.
આ સાથે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, અમે કાયદાના દુરુપયોગ સામે વિરોધ કરી રહ્યા છીએ. જો ED કાયદાનું પાલન કરે તો અમને કોઈ વાંધો નથી. પરંતુ ED કાયદાનું પાલન કરી રહ્યું નથી. આપણે પૂછીએ છીએ કે ગુનો શું છે ? કોઇ જવાબ નથી. કઈ પોલીસ એજન્સીએ FIR નોંધી છે ? કોઇ જવાબ નથી. એફઆઈઆરની કોઈ નકલ નથી. તેઓ કાયદાનું પાલન કરતા નથી. શું છેલ્લા 4-5 વર્ષમાં EDએ કેસ નોંધ્યો હોય એવો કોઈ બીજેપી નેતા છે ? શું બીજેપી શાસિત કોઈ રાજ્ય છે જ્યાં EDએ કેસ નોંધ્યો હોય ?”