Rajasthan political crisis : સચિન પાયલોટે નિરીક્ષકોને કહ્યુ, ‘પોતાને પસંદ કરાય તો ધારાસભ્યને સાથે લાવવાની જવાબદારી મારી’
એવું માનવામાં આવે છે કે પાર્ટી ચીફ, અવાજ ઉઠાવનારા બળવાખોર ધારાસભ્યોને કારણ બતાવો નોટિસ આપી શકે છે. નિરીક્ષકોનો રિપોર્ટ મળતાં જ સોનિયા પગલાં લઈ શકે છે એવી ચર્ચા છે.
રાજસ્થાન કોંગ્રેસમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ફરી એકવાર સચિન પાયલોટે (Sachin Pilot) માસ્ટર દાવ ખેલ્યો છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અશોક ગેહલોતે હંમેશા તેમને નકામા કહેવા ઉપરાંત ખબર નથી શુ શુ કહ્યું છે. પરંતુ તેમણે હંમેશા અશોક ગેહલોતને (Ashok Gehlot) પિતાની જેમ માન્યા છે અને સ્વીકાર્યા પણ છે. પાયલોટે કહ્યું કે ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માંગે છે. જો તે આમાં સફળ થાય છે, તો તેને ખુબ ખુબ અભિનંદન. આ પહેલા પાયલટે પાર્ટી હાઈકમાન્ડને મળીને રાજસ્થાનની રાજકિય પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. સાથોસાથ આશ્વાસન આપવામાં આવ્યું હતુ કે જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો ધારાસભ્યોનો વિશ્વાસ મેળવવાની જવાબદારી તેમની છે અને તેઓ તે કરશે.
તમને જણાવી દઈએ કે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના કેન્દ્રીય રાજકારણમાં જવાના કોલથી શરૂ થયેલ રાજસ્થાન કોંગ્રેસમાં રાજકીય ધમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. અહીં એક તરફ સચિન પાયલટે મુખ્યમંત્રી બનવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે, તો બીજી તરફ અશોક ગેહલોત તેમને કોઈ પણ સંજોગોમાં મુખ્યમંત્રી બનતા જોવા માંગતા નથી. આ માટે તેમણે પ્રત્યક્ષ નહીં પરંતુ આડકતરી રીતે ઘણી વખત પાર્ટી હાઈકમાન્ડના સાથીદારો સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે. હજુ બે દિવસ પહેલા જ રાજસ્થાન પહોંચેલા નિરીક્ષકોએ ધારાસભ્યોની બેઠક બોલાવી ત્યારે ગેહલોતના કહેવાથી તમામ ધારાસભ્યો રાજ્સથાન વિધાનસભા અધ્યક્ષ સીપી જોશીના ઘરે એકઠા થયા હતા અને રાજીનામા સુપરત કર્યા હતા. જો કે પાર્ટી હાઈકમાન્ડ આનાથી ભારે નારાજ છે.
પ્રિયંકા, માકન અને ખડગે સોનિયાને મળ્યા
રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પ્રિયંકા ગાંધી વાડ્રાએ સોમવારે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ પછી અજય માકન, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ ઉપરાંત રાજસ્થાનમાં નિરીક્ષક બનીને કમલનાથે પણ સોનિયા સાથે મુલાકાત કરી હતી. આ તમામ નેતાઓએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર ઘણું વિચારમંથન કર્યું હતું. એવું માનવામાં આવે છે કે પાર્ટી ચીફ અવાજ ઉઠાવનારા બળવાખોર ધારાસભ્યોને કારણ બતાવો નોટિસ આપી શકે છે. નિરીક્ષકોનો રિપોર્ટ મળતાં જ સોનિયા પગલાં લઈ શકે છે એવી ચર્ચા છે.
સચિન પાયલટ ધારાસભ્યોના સંપર્કમાં છે
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને મળ્યા બાદ સચિન પાયલોટે હાલ મૌન રહેવાનો નિર્ણય લીધો છે. તેઓ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ તેમના સમર્થક ધારાસભ્યોના પણ સતત સંપર્કમાં છે. તેમણે તાજેતરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્યોને ચૂપ રહેવા પણ કહ્યું છે. સચિનના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે હાઈકમાન્ડને ખાતરી આપી છે કે જો તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો ધારાસભ્યોને સાથે લાવવાની જવાબદારી તેમની રહેશે. પરંતુ ગેહલોત સીએમ ના રહે. આ સાથે તેમણે આશ્વાસન આપ્યું કે હાઈકમાન્ડ જે કોઈ પણ નિર્ણય લેશે તેને સચિન સમર્થન કરશે.