તવાંગ અથડામણ પર એસ. જયશંકરની પહેલી પ્રતિક્રિયા, રાહુલ ગાંધીના સવાલનો જવાબ આપતા કહ્યુ- ચીન સામે સૈનિકોની LAC પર અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી
એક મીડિયા કોન્ક્લેવને સંબોધતા જયશંકરે કહ્યું કે, 2020થી LAC પર ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે ભારતીય સેનાએ પણ મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા છે. ડ્રેગન પર નિશાન સાધતા જયશંકરે કહ્યું કે, ચીન LAC પર એકપક્ષીય ફેરફાર કરી શકે નહીં.
અરુણાચલ પ્રદેશના તવાંગમાં ચીની સૈનિકો અને ભારતીય સેના વચ્ચેની અથડામણ બાદથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મુદ્દે સતત સરકાર પર નિશાન સાધી રહ્યા છે. હવે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અંગે જવાબ આપતા મૌન તોડ્યું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ચીનના આક્રમણનો જવાબ આપવા માટે ભારતીય સેના દ્વારા LAC પર અત્યાર સુધીની સૌથી મોટી તૈનાતી કરવામાં આવી છે. એક મીડિયા કોન્ક્લેવને સંબોધતા જયશંકરે કહ્યું કે, 2020થી LAC પર ચીની સૈનિકોની સંખ્યામાં વધારો થયો છે. એટલા માટે ભારતીય સેનાએ પણ મોટા પાયે સૈનિકો તૈનાત કર્યા છે.
તેમણે કહ્યું, અમારી સેના ચીન દ્વારા એકતરફી પરિવર્તનના કોઈપણ પ્રયાસનો સામનો કરવા માટે તૈયાર છે. ડ્રેગન પર નિશાન સાધતા જયશંકરે કહ્યું કે, ચીન LAC પર એકપક્ષીય ફેરફાર કરી શકે નહીં. ભારત તરફથી સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં આવી રહ્યું છે. તેના કારણે ચીન ઘબરાયું છે અને બદલો લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો
એસ. જયશંકરે ચીન સરહદ વિવાદ મામલામાં કેન્દ્ર સરકારની અવગણના કરવાના રાહુલ ગાંધીના નિવેદન પર પણ વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીની ટિપ્પણી વિશ્વસનીય નથી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે ભારતીય સેનાનું અપમાન કર્યું હતું.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યુ હતું કે, ચીન મુદ્દે સરકાર અનેક વસ્તુઓ છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેને છુપાવી શકાતી નથી. ભારત સરકાર નિંદ્રામાં છે. જેમા સરકાર કોઇ વાત સાંભળવા માંગતી નથી. ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. આપણા વિદેશ મંત્રીએ તેમની સમજને વધુ વિસ્તારવાની જરુર છે.
ચીન ઓક્ટોબરથી અરુણાચલની ટોચને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે: રાહુલ ગાંધી
ચીન અરુણાચલ પ્રદેશમાં 17,000 ફૂટ ઉંચી ટોચને અંકુશમા લેવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે. આ શિખર પર ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે તાજેતરની અથડામણ 9 ડિસેમ્બરે થઈ હતી. આ પહેલા પણ આ વિસ્તારમાં બંને સેના આમને-સામને આવી ચુકી છે. 1 ઓક્ટોબર, 2021 ના રોજ, તવાંગથી 35 કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા યાંગત્સેમાં અથડામણ થઈ હતી.
ભારતીય સેના એ પરાક્રમ અને શક્તિનું પ્રતિક છે: જેપી નડ્ડા
રાહુલ ગાંધીએ ભારત-ચીન સેના અથડામણ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરતા અનેક સવાલો કર્યા ત્યારે ભાજપે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, તેની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે. ભારતીય સેના એ પરાક્રમ અને શક્તિનું પ્રતિક છે. આપણે જાણીએ છીએ કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી સાથે MOU પર હસ્તાક્ષર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે જ્યારે ભારતીય સેના ડોકલામમાં હતી ત્યારે રાહુલ ગાંધી ચીનના દૂતાવાસમાં ચીનના અધિકારીઓને ચૂપચાપ મળ્યા હતા.