6 ડિસેમ્બરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે, જાણો શા માટે ખાસ છે પુતિનની આ મુલાકાત
રાજદૂત નિકોલાઈ કુડાશેવીએ જણાવ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અફઘાનિસ્તાનની સ્થિતિ અને કોવિડ-19 રોગચાળા સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) 6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) સાથે 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ (India-Russia Annual Summit)માં ભાગ લેશે. ભારતમાં રશિયાના રાજદૂત નિકોલાઈ કુડાશેવે આ મુલાકાત અંગે જણાવ્યુ કે સમિટના પરિણામ વિશે વાટાઘાટો કરતી ટીમો કામ કરી રહી છે.
પરંતુ આજે જે સ્પષ્ટ છે તે એ છે કે તેનું એક પરિણામ મોટું અને સંયુક્ત રાજકીય નિવેદન હશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની આ મુલાકાત ઘણી ખાસ રહેવાની છે. આમાં તેઓ દ્વિપક્ષીય અને વિશેષ વ્યૂહાત્મક સંબંધોના તમામ પરિમાણો પર વિસ્તૃત ચર્ચા કરશે.
પુતિનની મુલાકાત ખૂબ જ ખાસ
રશિયન રાજદૂતે જણાવ્યું હતું કે જેમ સામાન્ય રીતે દ્વિપક્ષીય દેશો વચ્ચે થાય છે તેમ બંનેના નિવેદન વિશે બધાને જાણકારી આપવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે આ બેઠક રાજકીય પ્રતિબદ્ધતાઓને આકાર આપશે. આ દ્વિપક્ષીય બેઠક વ્યવહારુ અને આર્થિક પરિણામો લાવશે.
બંને વચ્ચે શું ચર્ચા થશે?
રાજદૂત નિકોલાઈ કહ્યું આ ખૂબ જ વ્યાપક પેપર હશે. તેમાં વૈશ્વિક મુદ્દાઓથી શરૂ કરીને અમારા સંબંધોના તમામ પરિમાણોને આવરી લેતા દસ્તાવેજો અને આધુનિક વિશ્વમાં અમારી કેન્દ્રિય સ્થિતિ દર્શાવતી યુએન પ્રતિબદ્ધતાઓનો સમાવેશ થશે. તે પછી તેમાં પ્રાદેશિક મુદ્દાઓ અને અફઘાનિસ્તાન જેવા મુદ્દાઓ સામેલ થશે.
ચર્ચામાં કોવિડ અંગેની સ્થિતિને આવરી લેવાશે. નવી ટેકનોલોજી, વિચારો, લોકો અને પ્રદેશોને એક સાથે લાવવાની ચર્ચા કરવામાં આવશે. આ મુલાકાતમાં મોટા પ્રમાણમાં કરારો અને મેમોરેન્ડમની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સંરક્ષણ અને વિદેશ મંત્રીઓ તેમના સમકક્ષોને મળશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે દિલ્હીમાં 21મી ભારત-રશિયા સમિટ બંને નેતાઓને પરસ્પર હિતના પ્રાદેશિક, બહુપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરવાની તક પૂરી પાડશે. એવી અપેક્ષા છે કે બંને નેતાઓ અફઘાનિસ્તાનની સ્થિતિ અને કોવિડ-19 મહામારી સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરશે.
6 ડિસેમ્બરે થનારી બંને દેશો વચ્ચેની વાતચીતની વિગતો આપતા બાગચીએ જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ શોયગુ સાથે બેઠક કરશે. તેમણે કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર તેમના રશિયન સમકક્ષ સર્ગેઈ લવરોવ સાથે વાતચીત કરશે.
આ પણ વાંચોઃ Ahmedabad : સાયન્સ સિટી ખાતે એકવેટિક ગેલેરીમાં નવું નજરાણું ઉમેરાયું, જીતુ વાઘાણીના હસ્તે ઓપનિંગ