Russia Ukraine War: રશિયાની ચેતવણી વચ્ચે તમામ ભારતીયોએ કીવ છોડ્યું, પુતિનની સેનાએ શહેરમાં તબાહી મચાવવાનું કર્યું શરૂ
વિદેશ સચિવે કહ્યું કે અમારી સૂચના મુજબ અમારા તમામ નાગરિકોએ કિવ છોડી દીધુ છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનના રાજદૂતોને ભારતની માગથી માહિતગાર કરવામાં આવ્યા છે. ખારકીવ અને અન્ય સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને 'તાત્કાલિક સલામત માર્ગ' પૂરો પાડવામાં આવે.
Russia Ukraine War: વિદેશ સચિવે હર્ષવર્ધન શ્રૃંગલાએ (Foreign Secretary Harsh Vardhan Shringla) કહ્યું કે અમારી સૂચના મુજબ અમારા તમામ નાગરિકોએ કિવ છોડી દીધુ છે. તેમણે કહ્યું કે રશિયા અને યુક્રેનના રાજદૂતોને ભારતની માગથી માહિતગાર કરવામાં આવ્યા છે. ખારકીવ અને અન્ય સંઘર્ષ વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને ‘તાત્કાલિક સલામત માર્ગ’ પૂરો પાડવામાં આવે. શ્રૃંગલાએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખારકીવમાં એક ભારતીય નાગરિકના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો. વિદેશ સચિવે કહ્યું, “અમે યુક્રેનમાં ખારકીવ, સુમી અને અન્ય સંઘર્ષ ઝોનની સ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત છીએ.” આગામી ત્રણ દિવસમાં ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 26 ફ્લાઈટ્સ નક્કી કરવામાં આવી છે.
શ્રૃંગલાએ કહ્યું કે બુકારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાક રિપબ્લિકના એરપોર્ટનો પણ ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ચલાવવા માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે ભારતીયોને પરત લાવવા એરફોર્સનું C-17 એરક્રાફ્ટ બુધવારે સવારે 4 વાગ્યે રોમાનિયા જઈ શકે છે. વિદેશ સચિવે કહ્યું કે વડાપ્રધાન મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે.
રશિયાએ કિવમાં ટીવી ટાવર પર કર્યો મોટો હુમલો
યુક્રેનની રાજધાનીમાં એક ટીવી ટાવર પર હુમલો કરવામાં આવ્યો છે. આ માહિતી આપતાં દેશની સંસદે એક તસવીર પોસ્ટ કરી છે, જેમાં ટાવરની આસપાસ ધુમાડાના ગોટેગોટા ઉછળતા જોવા મળે છે. સ્થાનિક મીડિયાએ અનેક વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે હુમલા બાદ ટીવી ચેનલોએ તરત જ પ્રસારણ બંધ થઈ ગયું છે. સમાચાર એજન્સી એએફપીએ અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે કિવમાં ટીવી ટાવર પર રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે.
રશિયાના સંરક્ષણ પ્રધાને આપી હતી શહેર ખાલી કરવાની ચેતવણી
અગાઉ, રશિયાના સંરક્ષણ મંત્રાલયે જાહેરાત કરી હતી કે તે રશિયા વિરુદ્ધ માહિતીને દબાવવા માટે કિવમાં યુક્રેનની સુરક્ષા સેવા સુવિધાની ઇમારત પર હુમલો કરશે. રશિયાએ કહ્યું હતું કે આ ઇમારતોની નજીક રહેતા તમામ લોકો તેમના ઘરની બહાર નીકળી જાય. રશિયાએ મંગળવારે યુક્રેનના અનેક શહેરોમાં બોમ્બમારો ચાલુ રાખ્યો હતો. રશિયન લશ્કરી હુમલાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવના સેન્ટર પર હુમલો કર્યો. આ હુમલાને કારણે સોવિયેત યુગની પ્રાદેશિક વહીવટી ઇમારતને ભારે નુકસાન થયું હતું.