Russia Ukraine War: અત્યાર સુધીમાં 48 ફ્લાઈટ્સ ભારત પહોંચી, છેલ્લા 24 કલાકમાં 4000 નાગરિકોને કરવામાં આવ્યા એરલિફ્ટ – કેન્દ્ર સરકાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત દેશ અંગેની પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ 20,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે.
યુક્રેનમાં (Ukraine) ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે ભારત સતત પ્રયાસો કરી રહ્યું છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે (Indian Government) શુક્રવારે કહ્યું કે ઓપરેશન ગંગા હેઠળ અત્યાર સુધીમાં 48 ફ્લાઇટ્સ ભારત પહોંચી છે, જેમાંથી 18 ફ્લાઇટ્સ છેલ્લા 24 કલાકમાં આવી છે. આ 18 ફ્લાઈટમાંથી પરત ફરનારા ભારતીયોની કુલ સંખ્યા લગભગ 4000 છે. સરકારે અહેવાલ આપ્યો કે બુડાપેસ્ટથી 5 ફ્લાઇટ્સ, રોમાનિયાના સુસેવાથી 4, પોલેન્ડના રેજજોથી 3 અને વોરસૉ, બ્રાતિસ્લાવા, બુકારેસ્ટ અને સ્લોવાકિયામાં કોસીસેથી 1-1 ફ્લાઇટ આવશે. ભારત યુક્રેનના પશ્ચિમી પડોશીઓ જેમ કે રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી તેના નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનનું એરસ્પેસ 24 ફેબ્રુઆરીથી બંધ છે.
ભારત સરકારે કહ્યું, ‘માનવતાવાદી સહાયના ચાર કન્સાઇનમેન્ટ અગાઉ મોકલવામાં આવ્યા છે અને આજે વધુ બે કન્સાઇનમેન્ટ ભારતીય વાયુસેના ફ્લાઇટ (પોલેન્ડ, સ્લોવાક, રોમાનિયા) દ્વારા મોકલવામાં આવ્યા છે. એરફોર્સ એરક્રાફ્ટ 6 ટન સામગ્રી રોમાનિયા અને 9 ટન સામગ્રી સ્લોવાકિયા લઈ ગયા. તે જ સમયે, વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે અમારો મુખ્ય ભાર પૂર્વી યુક્રેનના સંઘર્ષ વિસ્તારોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો છે અને અમે રશિયા અને યુક્રેનને સ્થાનિક યુદ્ધવિરામ સહિત અન્ય માર્ગો શોધવા વિનંતી કરીએ છીએ. જેથી અમે બાકીના નાગરિકોને યુદ્ધગ્રસ્ત યુક્રેનના સંઘર્ષ વિસ્તારોમાંથી બહાર કાઢી શકીએ.
લગભગ 300 ભારતીયો ખારકીવમાં અને 700 સુમીમાં છેઃ વિદેશ મંત્રાલય
મંત્રાલયે કહ્યું કે લગભગ 300 ભારતીયો ખારકીવમાં અને 700 સુમીમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પત્રકારોને જણાવ્યું હતું કે યુદ્ધગ્રસ્ત દેશ અંગેની પ્રથમ એડવાઈઝરી જાહેર કરવામાં આવી ત્યારથી લગભગ 20,000 ભારતીયોએ યુક્રેનની સરહદ છોડી દીધી છે. તેમણે કહ્યું કે ‘ઓપરેશન ગંગા’ હેઠળ અત્યાર સુધીમાં 48 ફ્લાઈટ્સ દ્વારા 10,300થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે આગામી 24 કલાકમાં 16 ફ્લાઈટ્સ નિર્ધારિત છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે, “લગભગ 300 ભારતીયો ખારકીવમાં છે, 700 સુમીમાં છે.” તેમણે કહ્યું કે આ સંઘર્ષ વાળો વિસ્તાર છે, જો કે અમે સતત તમામ ભારતીયોને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમુક વિસ્તારોમાંથી ભારતીયોને બહાર કાઢવામાં પડતી મુશ્કેલી અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, “અમે બંને પક્ષોને એક રસ્તો શોધવા માટે વિનંતી કરી રહ્યા છીએ જેથી કરીને અમે અમારા નાગરિકોને સંઘર્ષના વિસ્તારોમાંથી બહાર કાઢી શકીએ. સ્થાનિક યુદ્ધવિરામ આમાં મદદ કરશે.”
બંને પક્ષોને વિનંતી, સ્થાનિક સ્તરે યુદ્ધવિરામ કરવામાં આવે – ભારત સરકાર
તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં ગોળીબાર થઈ રહ્યો છે, અમે નથી ઈચ્છતા કે અમારા વિદ્યાર્થીઓ એવી જગ્યાએથી પસાર થાય જેનાથી તેમને થોડું પણ નુકસાન થવાની આશંકા હોય. આવી સ્થિતિમાં, અમે બંને પક્ષોને વિનંતી કરીશું કે, સ્થાનિક સ્તરે યુદ્ધવિરામ થવું જોઈએ જેથી કરીને અમે અમારા લોકોને બહાર કાઢી શકીએ.
ભારતીયોને બહાર કાઢવા માટે રશિયા દ્વારા બસોની વ્યવસ્થા અંગેના પ્રશ્નના જવાબમાં પ્રવક્તાએ કહ્યું કે, જે બસોની વાત થઈ રહી છે તે દૂર છે અને વિદ્યાર્થીઓ જ્યાં છે ત્યાંથી 50-60 કિમી દૂર છે.. તેમણે કહ્યું કે, “આ યુદ્ધની સ્થિતિ છે અને તે બસો દૂર છે. અમારા બાળકો ત્યાં કેવી રીતે પહોંચશે? આવી સ્થિતિમાં, જો ત્યાં રશિયન પક્ષ આવે અથવા યુક્રેનના લોકો કોઈ વ્યવસ્થા કરે, તો જ કંઈપણ થઈ શકે છે. સ્થાનિક યુદ્ધવિરામ મદદ કરી શકે છે.”
આ પણ વાંચો : Ukraine and Russia War: કિવમાં ગોળી લાગવાથી ઘાયલ થયેલ વિદ્યાર્થી હરજોતની સારવારનો ખર્ચ ઉઠાવશે ભારત: વિદેશ મંત્રાલય