દિલ્હી સરકારના પ્રોગ્રામ દરમિયાન હંગામો, AAPનો આરોપ, PMOના આદેશ પર પોલીસે કેજરીવાલનું પોસ્ટર ફાડી લગાવી PM મોદીની તસ્વીર
દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આરોપ લગાવ્યો છે કે પોલીસે બળજબરીથી વન મહોત્સવ કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર કબ્જો કર્યો અને PM મોદીના ફોટો સાથેનું પોસ્ટર લગાવ્યું.
દેશની રાજધાની દિલ્હીમાં કેજરીવાલ સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણ વધુ વધી ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP)એ કહ્યું છે કે PMOના આદેશ પર દિલ્હી સરકારના એક કાર્યક્રમમાં પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejrival)ના પોસ્ટર ફાડી નાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો લગાવ્યો. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે(Gopal Rai) પણ ટ્વીટ કર્યું હતું કે રાજ્ય સરકારના કાર્યક્રમમાં PM મોદીના પોસ્ટર બળજબરીથી લગાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી સરકારના સરકારી કાર્યક્રમમાં PMOના નિર્દેશ પર શનિવારે રાત્રે પોલીસ મોકલવામાં આવી હતી. અહીં પોલીસે સ્ટેજનો કબજો લઈ કાર્યક્રમના બેનરની જગ્યાએ PM મોદીના ફોટાવાળા બેનર લગાવ્યા હતા અને તેને હટાવવાની ધમકી આપી હતી.
દિલ્હીમાં 11 જુલાઈથી વન મહોત્સવ ચાલી રહ્યો હતો, જે અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું હતું. સાથે સાથે આજે આ વન મહોત્સવ કાર્યક્રમનું સમાપન હતું. જેમાં LG અને CM અરવિંદ કેજરીવાલ બંને સામેલ થવાના હતા. વિવાદ બાદ પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે અમે ઝઘડો કરવા માંગતા નથી, સરકારી કાર્યક્રમને રાજકીય બનાવવામાં આવ્યો હતો, તેથી CM કેજરીવાલ અને હું બંને તેમાં સામેલ થયા નથી.
તેમણે કહ્યું કે દિલ્હી સરકારના સરકારી આયોજનમાં શનિવારે રાત્રે PMO નિર્દેશ પર પોલીસ મોકલવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે સ્ટેજ પર કબજો જમાવ્યો હતો અને કાર્યક્રમના બેનરની જગ્યાએ વડાપ્રધાન મોદીના ફોટાવાળા બેનર લગાવ્યા હતા અને કહ્યું હતું કે જો તેને હટાવાશે તો કાર્યવાહી કરવામાં આવશે.
વન મહોત્સવ કાર્યક્રમમાં સામેલ થયા LG
વન મહોત્સવ કાર્યક્રમના બેનર પર PM મોદીનો ફોટો લગાવવા પર CM હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન કાર્યક્રમમાં સામેલ થયા હોત તો સ્ટેજ પર તેમનો ફોટો લગાવ્યો હોત પરંતુ જ્યારે તેઓ નથી સામેલ થવાના તો માત્ર ઉપરાજ્યપાલ અને CMની સાથે પર્યાવરણમંત્રી ગોપાલ રાયનો ફોટો લગાવવો જોઈએ. હાલમાં દિલ્હીના એલજી અને તમામ અધિકારીઓ સાથે વન મહોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
CM કેજરીવાલની તબિયત લથડી
બીજી બાજુ, LG ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના CM કેજરીવાલે નાદુરસ્ત તબિયતને કારણે આજે આસોલા ભટ્ટી માઈન્સમાં વૃક્ષારોપણના પૂર્વ નિર્ધારિત સંયુક્ત કાર્યક્રમમાં હાજરી આપી ન હતી. જો કે આ પહેલા પણ પર્યાવરણ મંત્રીએ પોસ્ટર વિવાદને કારણે CM કેજરીવાલ અને પોતે હાજર ન રહેવાની જાહેરાત કરી ચુક્યા હતા. તો બીજી તરફ પર્યાવરણ મંત્રીએ કહ્યું કે સરકારે 2014થી અત્યાર સુધીમાં દિલ્હીમાં લગભગ 2 કરોડ 10 લાખ રોપા વાવ્યા છે. આજે દિલ્હીનો ગ્રીન એરિયા સ્ટાન્ડર્ડ 20 ટકાથી વધીને 23 ટકાથી આગળ પહોંચી ગયો છે. આ વર્ષે 35 લાખ રોપા વાવવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે અમે તમામ વિભાગો સાથે મળીને અભિયાન ચાલુ રાખીશું.