AIIMSમાં દાખલ RJD ચીફ લાલુ યાદવની તબિયત સારી થઈ રહી છે, ડોક્ટરે કહ્યું- થોડા સમયમાં પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે
રાષ્ટ્રીય જનતા દળના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદને બુધવારે રાત્રે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદને (Lalu Prasad) બુધવારે રાત્રે રાષ્ટ્રીય રાજધાનીમાં દેશની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત સુધારા પર છે. લાલુની સારવાર કરી રહેલા ડૉક્ટરનો દાવો છે કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ડોક્ટરનું કહેવું છે કે, બે દિવસમાં લાલુને CCUમાંથી હોસ્પિટલના પ્રાઈવેટ વોર્ડના રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવશે. દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે તેજસ્વી યાદવ સાથે વાત કરી અને તેમના પિતા લાલુ પ્રસાદ યાદવના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી.
મહત્વનું છે કે, લાલુપ્રસાદને બુધવારે રાત્રે એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી AIIMSમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી તેઓ પટનાની પારસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો ના થતાં તેમને એઈમ્સમાં ખસેડવામાં આવ્યા હતા. લાલુની સાથે તેમના નાના પુત્ર તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદના પત્ની રાબડી દેવી પણ પહોંચ્યા હતા. લાલુના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા તેજસ્વી યાદવે કહ્યું, ‘તેમના શરીરમાં કોઈપણ પ્રકારે હલનચલન નથી. સાથે જ રાબડી દેવીએ કહ્યું, જે લોકો લાલુ પ્રસાદને પ્રેમ કરે છે તેઓ નિરાશ ના થાય. તેમની તબિયત પહેલા કરતા સારી છે. દરેક વ્યક્તિ લાલુ પ્રસાદ માટે પ્રાર્થના કરે.
લાલુ સીડી પરથી પડી ગયા હતા
આપને જણાવી દઈએ કે, RJD સુપ્રીમો લાલુ યાદવ રવિવારે મોડી સાંજે પત્ની રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાન પર પોતાના રૂમની સીડી ચડતી વખતે પડી ગયા હતા, જેના કારણે તેમના જમણા ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પીઠમાં પણ ઘણી ઈજા થઈ હતી. અસ્થિભંગની સારવાર બાદ તેઓ રાબડીના ઘરે આવ્યા હતા, પરંતુ રવિવારે રાત્રે જ તેઓ બેચેની અનુભવવા લાગ્યા હતા. જ્યારે સમસ્યા ઘણી વધી ગઈ ત્યારે તેને સોમવારે સવારે 3:30 વાગ્યે પટનાની પારસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.