5 state assembly election results 2021 : ક્ષેત્ર સંન્યાસ, પ્રશાંત કિશોર હવે નહી ઘડે ચૂંટણીની વ્યૂહરચનાઓ
પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસને જીત અપાવવામાં મહત્વનો ભાગ ભજવનાર, વ્યવસાયિક રણનીતિકાર પ્રશાંત કિશોરે ( Prashant Kishor ) જાહેરાત કરી છે કે, હવે તેઓ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીની રણનિતી નહી ધડે, તેઓ ચૂંટણી સંબધી રાજકીયપક્ષો માટે કામગીરી નહી કરે.
પશ્ચિમ બંગાળમાં નંદીગ્રામ બેઠક પરથી જીત મેળવવા સાથે પશ્ચિમ બંગાળમાં સતત ત્રીજીવાર મમતા બેનર્જી સરકાર બનાવશે. મા માટી અને માનુસનુ પ્રચલિત સૂત્ર આપનાર મમતા દીદીએ આ ચૂંટણીમા ખેલો હોવે ? સૂત્ર વહેતુ કર્યું હતું. અને રમતગમતની શોખિન પશ્ચિમ બંગાળની જનતાએ ખેલો હોવે સૂત્રને સાર્થક કરીને રાજરમતમાં ભાજપને પછાડી દીધુ. જો કે ચૂંટણી સમયે ભાજપ બે આંકડે પહોચશે તો હુ મારુ કામ છોડી દઈશ તેવી જાહેરાત કરી ચૂકેલા પ્રશાંત કિશોરે, ( Prashant Kishor ) પરિણામોએ સ્પષ્ટ સંકેત આપ્યો કે મમતાદીદી 200થી વધુ બેઠકો સાથે સરકાર બનાવી રહી છે તેની સાથે જ પ્રશાંત કિશોરે પણ પોતે હવે આવી કામગીરી નહી કરે તેમ જાહેર કર્યું છે.
વ્યવસાયિક રણનિતીકાર પ્રંશાત કિશોરે એક ન્યૂઝ ચેનલની ચર્ચામાં ભાગ લેતા કહ્યુ હતું કે, હવે તેઓ કોઈ પણ રાજકીય પક્ષ માટે ચૂંટણીની રણનિતી નહી ઘડે. તેઓ આ પ્રકારની કામગીરી ત્યજી રહ્યા છે. આ પ્રકારનો વ્યવસાય બંધ કરી રહ્યાં છે. કિશોરે કહ્યું કે હવે હું જે કરું છું તે ચાલુ રાખવા માગતો નથી. મેં પૂરતું કર્યું છે મારે જીવનમાં થોડો સમય વિરામ લેવો છે. હવે બીજા કોઈ ક્ષેત્રમાં અન્ય કાઈક કરવાનો આ સમય છે. મારે આ સ્થાન છોડવું છે.
તેમણે બંગાળ ચૂંટણીના પરિણામો પર જણાવ્યું હતું કે, આ ચૂંટણી ખૂબ જ અઘરી હરીફાઈ હતી. અમને ખૂબ સારું કામ કરવાનો વિશ્વાસ હતો. ભાજપ દ્વારા મોટાપાયે, પ્રચાર કરવામાં આવી રહ્યો હતો કે, તેઓ બંગાળમાં ભવ્ય જીત મેળવી રહ્યાં છે. મમતા હારી રહ્યાં છે.
નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બાબતે પ્રંશાત કિશોરે કહ્યું હતુ કે, મોદીની લોકપ્રિયતાનો અર્થ એવો નથી કે, તેના કારણે ભાજપ દરેક ચૂંટણી જીતે જ. ભાજપના નેતાઓએ પશ્ચિમ બંગાળમાં 40 રેલીઓ કરી, જેનો એવો અર્થ ના કરી શકાય કે ટીએમસી હારી જશે. લોકસભાની ચૂંટણી દરમિયાન મમતા બેનર્જીની રેલીઓમાં ખૂબ ભીડ હતી, પરંતુ તેમણે 18 બેઠકો ગુમાવી હતી. સભામાં એકઠી થતી ભીડથી જીતી જવાય છે તેવુ હવે કહી શકાતુ નથી. ભાજપ શક્તિશાળી જરૂર છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ જ જીતે. ભાજપને પણ હરાવી શકાય છે.
પ્રશાંત કિશોરે કહ્યું કે ટીએમસીનો વિજય થયો હોવા છતાં, દરેક રાજકીય પક્ષે, કેન્દ્રીય ચૂંટણી પંચના વલણ સામે વાંધો ઉઠાવવો જોઈએ. મમતા બેનર્જીની સૌથી મોટી તાકાત, લોકો સાથેનો લગાવ છે. લોકોની નાડ સારી રીતે પારખે છે. તેઓ સામાન્ય વ્યક્તિની છાપ ધરાવે છે જે છબીને ખરડવાનો પ્રયાસ થયો પણ પશ્ચિમ બંગાળની જનતા તેમને સારી રીતે જાણે અને ઓળખે છે.