ખેડૂત નેતા રાકેશ ટિકૈતના ચહેરા પર શાહી ફેંકાઈ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બે જૂથો વચ્ચે થઈ અથડામણ, જુઓ વીડિયો
આ ઘટના ત્યારે બની જ્યારે ટિકૈત સ્ટિંગ ઓપરેશનના વીડિયો (Video) પર મીડિયાને ખુલાસો આપી રહ્યા હતા. જેમાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખરે બસ હડતાલના બદલામાં પૈસાની માગ કરી હતી.
કર્ણાટકમાં (Karnataka) ખેડૂતોના આંદોલનના અગ્રણી ચહેરા રાકેશ ટિકૈત (Rakesh Tikait) પર શાહી ફેંકવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. દરમિયાન ગુસ્સે ભરાયેલા ટોળાએ ટિકૈત પર શાહી ફેંકી હતી. આ કેસમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. ટિકૈતની સાથે યુદ્ધવીર સિંહ પર પણ શાહી ફેંકવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ટિકૈત સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર મીડિયાને ખુલાસો આપી રહ્યા હતા. જેમાં કર્ણાટકના ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખરે બસ હડતાલના બદલામાં પૈસાની માગ કરી હતી.
આ ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે પ્રેસ કોન્ફરન્સના સ્થળે લોકો એકબીજા સાથે લડતા જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં લોકો એકબીજા પર ખુરશીઓ ફેંકતા પણ જોવા મળે છે. આ ઘટના દરમિયાન સમગ્ર વિધાનસભામાં નાસભાગ મચી ગઈ હતી. મીડિયા સાથે વાત કરતી વખતે, ટિકૈતે આ ઘટના માટે સ્થાનિક પોલીસને જવાબદાર ઠેરવી અને કહ્યું કે, સભામાં કોઈ સુરક્ષા નહોતી. તેમણે દાવો કર્યો કે આ વિરોધમાં કર્ણાટક સરકારના લોકો પણ સામેલ હતા.
સમર્થકો એકબીજા પર ખુરશીઓ ફેંકી
સૂત્રોએ જણાવ્યું હતું કે ખેડૂત નેતાઓ રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર સ્પષ્ટતા કરવા કર્ણાટકની રાજધાની બેંગલુરુ આવ્યા હતા કે તેઓ તેમાં સામેલ નથી. પરંતુ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ત્યાં હાજર કેટલાક લોકોએ તેમની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. જે બાદ વિવાદ એટલો વધી ગયો કે લોકોએ ખેડૂત નેતા ટિકૈત પર શાહી ફેંકી. એટલું જ નહીં, બે જૂથો સામસામે આવી ગયા અને ખુરશીઓ વડે મારવા લાગ્યા. રાકેશ ટિકૈતે કર્ણાટકની ભાજપ સરકાર પર આરોપ લગાવ્યો કે સરકારે સ્થળ પર પૂરતી સુરક્ષા પૂરી પાડી નથી.
ચંદ્રશેખરના સમર્થકોએ શાહી ફેંકી હતી
પહેલા ટિકૈત પર માઈકથી હુમલો કરવામાં આવ્યો હતો. આ પછી એક વ્યક્તિએ તેમના પર શાહી ફેંકી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટિકૈત પર હુમલો કરનારા સ્થાનિક ખેડૂત નેતા કોડિહલ્લી ચંદ્રશેખરના સમર્થક હતા. આ ઘટના બાદ ટિકૈતના સમર્થકોએ શાહી ફેંકનાર વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. આ ઘટના બાદ ટિકૈતે મીડિયાને કહ્યું કે, તેને ચંદ્રશેખર સાથે કોઈ લેવાદેવા નથી. કારણ કે તેઓ ફ્રોડ છે. આ પછી તરત જ ચંદ્રશેખરના સમર્થકોએ ખેડૂત નેતા પર શાહી ફેંકી હતી.