Rajasthan: વસુંધરા રાજે બનશે ભાજપનો CM ચહેરો ? નવા પોસ્ટરને લઈ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર થવાની શક્યતા
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે ભાજપ રાજ્ય પાર્ટીના મુખ્યાલયમાં લગાવેલા નવા હોર્ડિંગ્સ પર વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિતના કેન્દ્રીય નેતાઓની તસવીરો સાથે પરત ફર્યા છે. વસુંધરા રાજે છેલ્લા 2 વર્ષથી આ પોસ્ટરોમાંથી ગાયબ હતા.
રાજસ્થાન કોંગ્રેસમાં પાયલોટ અને ગેહલોતની ટક્કર છેલ્લા 4 વર્ષથી સતત ચર્ચામાં છે અને ભાજપમાં સીએમ ચહેરાને લઈને વિવાદ ચાલુ છે. હાઈકમાન્ડ તરફથી સીએમ ચહેરા વિશે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ વિવાદ વચ્ચે રાજધાની જયપુરમાં એક તાજેતરમાં ઘટના બની જેની રાજકીય ગલિયારાઓમાં ખૂબ ચર્ચા થઈ રહી છે.
રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે ભાજપ રાજ્ય પાર્ટીના મુખ્યાલયમાં લગાવેલા નવા હોર્ડિંગ્સ પર વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિતના કેન્દ્રીય નેતાઓની તસવીરો સાથે પરત ફર્યા છે. વસુંધરા રાજે છેલ્લા 2 વર્ષથી આ પોસ્ટરોમાંથી ગાયબ હતા. ભાજપની છાવણીમાં આ ઘટનાક્રમ હવે રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની રાજસ્થાન મુલાકાતના દિવસે પાર્ટી મુખ્યાલય પર એક નવું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં વસુંધરા રાજેનો ફોટો લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાર્ટીના અધિકારીઓનું કહેવું છે કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી સૂચના મળી છે કે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ અધ્યક્ષની સાથે, રાષ્ટ્રીય બીજેપી અધ્યક્ષ અને વડાપ્રધાનની તસવીરો પોસ્ટરો પર હોવી જોઈએ.
આ પણ વાંચો : કમલ હાસન લોકસભાની ચૂંટણી કોંગ્રેસની સીટ પરથી લડશે ? જાણો અભિનેતાએ શું જવાબ આપ્યો
વસુંધરા રાજે બનશે ભાજપનો CM ચહેરો ?
નવા પોસ્ટરમાં વસુંધરા રાજેને પાર્ટીના ચહેરા તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે, જે બાદ પાર્ટીમાં આ બદલાવને કારણે રાજસ્થાન ભાજપમાં વસુંધરા રાજેની ચૂંટણીલક્ષી ભૂમિકા અંગે અટકળો તેજ થઈ ગઈ છે. અહીં પાર્ટી હેડક્વાર્ટર પર રાજેના પોસ્ટર લગાવ્યા બાદ પાર્ટીમાં તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.
અહેવાલ મુજબ, ભાજપના કાર્યકરોનું કહેવું છે કે રાજસ્થાનમાં વસુંધરા રાજે ભાજપનો ચહેરો છે અને જનતામાં તેમનો ક્રેઝ હજુ પણ બરકરાર છે અને આગામી ચૂંટણીમાં તેમના પોસ્ટરને ઘણો ફાયદો થશે. અગાઉ 23 જાન્યુઆરીએ જયપુરમાં યોજાયેલી સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકમાં સતીશ પુનિયા અને ગુલાબચંદ કટારિયા સાથે વસુંધરા રાજેના વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. આ સિવાય રાજે રાજ્ય પ્રભારી અરુણ સિંહની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.
વસુંધરા રાજે જન આક્રોશ યાત્રાના પોસ્ટરોમાંથી ગાયબ હતા
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં તાજેતરમાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી જન આક્રોશ યાત્રાના પોસ્ટરોમાંથી વસુંધરા રાજે ગાયબ હતા, જેને લઈને અનેક સવાલ ઉભા થયા હતા. સૂત્રોનું કહેવું છે કે ભાજપના પૂર્વ મુખ્યમંત્રીઓનું આ રીતે સન્માન કરવું એ પાર્ટીની રણનીતિનો એક ભાગ છે.