Jodhpur: ગેસ ભરતી વખતે લાગી આગ, એક પછી એક અનેક સિલિન્ડરમાં વિસ્ફોટ, 4ના મોત
આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે, જેમને જોધપુરની (Jodhpur) મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલ થયેલા લોકોમાં 80 ટકા દાઝી ગયા છે.
રાજસ્થાનના (Rajasthan) જોધપુરમાં શનિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. માતા કા થાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત મગરા પુંજલા વિસ્તારમાં આજે બપોરે એક મકાનમાં એક પછી એક ઘણાં જોરદાર ધડાકાના અવાજો સંભળાયો. આ વિસ્ફોટ એટલા જોરદાર હતા કે જે મકાનમાં આ વિસ્ફોટ થયા હતા, તેની આસપાસના મકાનોમાં ધ્રુજારી પેદા થઈ હતી. જાણે ધરતીકંપ આવ્યો હોય. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને અન્ય 16 લોકો ઘાયલ થયા છે. તમામને જોધપુરની (Jodhpur) મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે .
મગરા પુંજલા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરી રહેલા એક વ્યક્તિના ઘરમાં અચાનક ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. આ પછી ગેસ સિલિન્ડરમાં અચાનક વિસ્ફોટ થયો. વિસ્ફોટ થયા બાદ એક પછી એક લગભગ ચારથી છ સિલિન્ડર ફાટ્યા. આ અકસ્માત દરમિયાન ઘરમાં એક જ પરિવારના 20 લોકો હાજર હતા, જેમાંથી ચાર લોકોનું મોત થયું હતું, જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા.
હોસ્પિટલમાં જઈને ડીએમે ઘાયલોની જાણી સ્થિતી
તમામ 16 ઘાયલને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘાયલોમાં 80 ટકા દાઝી ગયા છે. અકસ્માતની માહિતી મળતાં જ જિલ્લા કલેક્ટર હિમાંશુ ગુપ્તા મહાત્મા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઘાયલોની સારવાર વિશે ડોક્ટરોને વિશેષ સૂચનાઓ આપી હતી. એમ જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે મગરા પુંજાલા વિસ્તારના કીર્તિ નગરમાં રહેતા ભોમારામના ઘરે અકસ્માત થયો, ત્યારે તે સમયે ભોમારામ સહિત તેના ત્રણ ભાઈઓના પરિવારના સભ્યો ઘરમાં હાજર હતા, જેઓ આ અકસ્માતનો શિકાર બન્યા હતા. આ ઘટના બાદ આ ઘરમાંથી લગભગ ચાર ડઝન ગેસ સિલિન્ડર બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર ચાલી રહ્યું હતું ગેસ રિફિલિંગનું કામ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેઓને ખબર ન હતી કે ઘરની અંદર ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કામ કરવામાં આવે છે. આજે જ્યારે બ્લાસ્ટ બાદ ઘરમાંથી ગેસ સિલિન્ડરો મળ્યા ત્યારે તે લોકોને ખબર પડી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘાયલોમાં ઘણા લોકોની હાલત ગંભીર છે. પોલીસની મદદથી તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ-વહીવટી તંત્રએ પણ ઘાયલોને બહાર કાઢવામાં અને હોસ્પિટલ પહોંચાડવામાં ઘણી મદદ કરી હતી.