Udaipur Murder Case: ઉદયપુર સાથે કરૌલી-અલવર સહિત 5 શહેર રહેશે બંધ, ઈન્ટરનેટ સેવા પર રવિવાર સુધી પ્રતિબંધ, NIAની તપાસ તેજ
ઉદયપુરમાં કન્હૈયાલ હત્યા કેસના (Kanhaiya Murder Case) ચોથા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ પોલીસ અને ડ્રોન કેમેરાની દેખરેખ હેઠળ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજવામાં આવી હતી. શનિવારે ઉદયપુરની સાથે 5 જિલ્લા બંધ રહેશે.
ઉદયપુરમાં કન્હૈયાલ હત્યા કેસના (Kanhaiya Murder Case) ચોથા દિવસે એટલે કે 1 જુલાઈના રોજ પોલીસ અને ડ્રોન કેમેરાની દેખરેખ હેઠળ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી હતી. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે રથયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન સામાન્ય જનતાને કર્ફ્યુમાં રાહત મળી હતી, પરંતુ શહેરમાં કર્ફ્યુ ચાલુ હતો. શનિવારે ઉદયપુરની (Udaipur Murder) સાથે 5 જિલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શહેરમાં રવિવાર સુધી ઈન્ટરનેટ બંધ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉદયપુરમાં સોમવારથી ઇન્ટરનેટ શરૂ થવાની સંભાવના છે. તપાસ એજન્સીઓ પણ આ મામલાની તપાસમાં લાગેલી છે. શનિવારે એજન્સીઓ ગૌસ મોહમ્મદ અને રિયાઝ જબ્બાર સાથે સંબંધિત અનેક એંગલથી તપાસ કરશે. આ સાથે જ ગઈકાલે ધરપકડ કરાયેલા મોહસીન અને આસિફની પણ પૂછપરછ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે કન્હૈયાલાલની હત્યાના કાવતરામાં આ બંને યુવકોનો પણ હાથ હતો.
ઉદયપુર સિવાય આ શહેરો પણ આજે બંધ રહેશે
કન્હૈયા લાલની હત્યાના વિરોધમાં આજે ઉદયપુરમાં અનેક બજારો બંધ રહેશે. આ સાથે કોટામાં હિન્દુ સંગઠનોના બંધના એલાન બાદ ઘણા સ્થાનિક બજારો બંધ રહેશે. અલવરમાં પણ વેપારીઓ બજાર બંધ રાખવા સંમત થયા છે. ભરતપુરમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. કરૌલી શહેર પણ આજે બંધ રહેશે. વેપારી અને હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શ્રીગંગાનગરનું બજાર શનિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અડધા દિવસ માટે બંધ રહેશે. વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે.
NIA હવે દિલ્હીથી આ હત્યાની તપાસ કરશે
એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે એનઆઈએ કન્હૈયાલાલ હત્યા કેસમાં તેની તપાસ ઉદયપુરથી પૂરી કરીને તેને અન્ય સ્થળોએ લઈ જઈ શકે છે. હકીકતમાં આ કેસમાં NIAની ટીમે શહેરમાં ગ્રાઉન્ડ લેવલ પર ઘણી તપાસ કરી છે. હવે NIA કટ્ટરપંથીઓ સાથે સંકળાયેલા ગુનેગારોના આંતરરાષ્ટ્રીય એંગલ અને કનેક્શનને લઈને દિલ્હી અથવા અન્ય સ્થળોએથી તેની તપાસ કરી શકે છે. સાથે જ ATS અને SIT તેમની તપાસ ચાલુ રાખશે.
શહેરમાં બે વર્ષ બાદ રથયાત્રા નીકળી હતી
આ પહેલા શુક્રવારે ઉદયપુરમાં રથયાત્રા નીકળી હતી. 2 વર્ષ બાદ જગદીશ મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળી હતી. ઉદયપુરની રથયાત્રા દેશની ત્રીજી સૌથી મોટી રથયાત્રા છે. આ રથયાત્રામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી ઉદયપુર પહોંચે છે. આ રથયાત્રા માટે 95 કિલો ચાંદીથી નવો રથ તૈયાર કરવામાં આવ્યો હતો.