ED ઓફિસમાં પસાર કર્યો 40 કલાકથી વધારેનો સમય, રાહુલ ગાંધીએ હવે શેયર કર્યો પોતાનો અનુભવ
રાહુલ ગાંધીએ કહ્યું 'ઈડી ઓફિસમાં પૂછપરછ માટેનો રૂમ 12 ફૂટનો હતો. વચ્ચે ટેબલ અને કોમ્પ્યુટર હતું. મારી સામે EDના ત્રણ અધિકારીઓ બેઠા હતા અને એક અધિકારી બહાર ઉભા હતા. હું તેમની સામે બેસી ગયો અને ખુરશી પરથી ખસ્યો નહીં.
નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની અત્યાર સુધી પાંચ દિવસ સુધી પૂછપરછ કરી છે. તપાસ એજન્સીએ રાહુલ ગાંધીને કોઈ નવું સમન્સ જાહેર કર્યું નથી અને એવું માનવામાં આવે છે કે તેમની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. ED ઓફિસમાં પાંચ દિવસ પસાર કર્યા બાદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આજે તેમની પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે ED ઓફિસમાં તેમની સાથે શું થયું તે જણાવ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું ‘ઈડી ઓફિસમાં પૂછપરછ માટેનો રૂમ 12 ફૂટનો હતો. વચ્ચે ટેબલ અને કોમ્પ્યુટર હતું. મારી સામે EDના ત્રણ અધિકારીઓ બેઠા હતા અને એક અધિકારી બહાર ઉભા હતા. હું તેમની સામે બેસી ગયો અને ખુરશી પરથી ખસ્યો નહીં. તે અધિકારીઓ અધવચ્ચે જ ઉભા થઈ જતા હતા. તેમના વરિષ્ઠ અધિકારીને સૂચનાની જરૂર હતી, તેથી તેઓ જતા રહેતા અને આવતા-જતા રહેતા હતા.
LIVE: Shri @RahulGandhi addresses party workers at AICC Headquarters.#होगी_सच_की_जीत https://t.co/NopXgF0v45
— Congress (@INCIndia) June 22, 2022
EDના અધિકારીઓએ રાહુલ ગાંધીને સતત બેસી રહેવાનું રહસ્ય પૂછ્યું
રાહુલે કહ્યું ‘રાત્રે એક અધિકારીએ મને પૂછ્યું કે ‘રાહુલ જી, એક વાર તમે અમને કહો કે તમે લાંબા સમયથી બેઠા છો અને ખુરશી પરથી ઉઠતા નથી. તમે સીધા બેસી રહો છો. તમારી પૂછપરછ કર્યાને સાડા અગિયાર કલાક થઈ ગયા પણ તમે થાકતા નથી. અમે થાક્યા છીએ, તેમણે મને પૂછ્યું કે તમારું રહસ્ય શું છે.’ રાહુલ ગાંધીએ કહ્યું કે રાહુલ ગાંધી ED રૂમમાં એકલા બેઠા નથી, કોંગ્રેસના દરેક નેતા, કાર્યકર્તા તે રૂમમાં રાહુલ ગાંધી સાથે બેઠા હતા.
‘તમે એક માણસને થકાવી શકો છો, પરંતુ કોંગ્રેસના કરોડો કાર્યકરોને નહીં’
તેમણે કહ્યું કે તમે એક માણસને થકાવી શકો છો, પરંતુ તમે કોંગ્રેસ પાર્ટીના કરોડો કાર્યકરો અને નેતાઓને થકવી શકતા નથી. એ રૂમમાં માત્ર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો જ નહોતા, પરંતુ જે પણ આ સરકાર સામે ડર્યા વગર લડે છે તે બેઠા હતા. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે જે કોઈ પણ ભારતના લોકતંત્ર માટે લડી રહ્યા છે, તે બધા મારી પાસે તે રૂમમાં બેઠા હતા તો હું કેવી રીતે થાકતો.
ભાજપ પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ એટલે ધીરજ, નહીં તો ભાજપમાં માત્ર હાથ મિલાવો, માથું નમાવો, સાચું ન બોલો તો પણ કામ થઈ જશે. EDના અધિકારીઓએ પણ સમજી ગયા કે કોંગ્રેસ પાર્ટીના નેતાને ડરાવી, દબાવી કે ધમકાવી શકાય નહીં, કારણ કે કોંગ્રેસ પાર્ટી સત્ય માટે લડે છે.