Bharat Jodo Yatra : 5 મહિનામાં 4000 કિમીનું અંતર કાપ્યું, રાહુલની ભારત જોડો યાત્રા આજે થશે પૂર્ણ, ખડગેના અભિયાનને લાગ્યો ઝટકો!
રાહુલ ગાંધીએ રવિવારે ભારત જોડો યાત્રાના ભાગરૂપે શ્રીનગરના લાલ ચોકના ઐતિહાસિક ટાવર પર કડક સુરક્ષા વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આજે શેર-એ-કાશ્મીર સ્ટેડિયમ ખાતે યાત્રાનું સમાપન થશે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો સમાપન કાર્યક્રમ આજે જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં યોજાશે. લગભગ પાંચ મહિના પહેલા શરૂ થયેલી આ યાત્રામાં રાહુલ ગાંધી 12 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થયા. આ દરમિયાન રાહુલ ગાંધી લગભગ 4000 કિલોમીટર ચાલ્યા હતા. ગઈકાલે રાહુલ ગાંધીએ ઐતિહાસિક લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે યાત્રાના સમાપન કાર્યક્રમમાં વિપક્ષના ઘણા નેતાઓ ભાગ લઈ શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 23 રાજકીય પક્ષોના પ્રમુખોને પત્ર લખીને ભારત જોડો યાત્રાની સમાપન રેલીમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. બસપા સુપ્રીમો માયાવતી, સપાના વડા અખિલેશ યાદવ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, સીપીઆઈ(એમ) નેતા સીતારામ યેચુરી અને જેડીયુ પ્રમુખ લલન સિંહ જેવા નેતાઓએ રેલીમાં ભાગ લેવાનો પહેલેથી જ મનાઈ કરી હતી.
આ પણ વાંચો: રાહુલ ગાંધીએ મેળવ્યો Black Belt? જુઓ Video
વિપક્ષને એક કરવાના ખડગેના અભિયાનને મળ્યો ઝટકો!
મળતી માહિતી મુજબ UPAના ઘટક પક્ષોના નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પણ આવવાના નથી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલા જ ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વિપક્ષના મોટા નામોને બોલાવીને કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષમાં સામેલ થવાના અભિયાનને શું મોટો ઝટકો લાગ્યો છે?
યાત્રા લોકોના હૃદયને સ્પર્શી ગઈ: અધીર રંજન
શ્રીનગરમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમારી પાર્ટીએ બધાને આમંત્રણ આપ્યું છે. જે લોકો મોદીજી સામે લડવા માગે છે તેમને એકત્ર થવું જોઈએ. મમતાજીને પૂછો કે મમતાજી કેમ નથી આવી રહ્યા. કોઈ દલાલી કરતું હોય, એવું બની શકે. તેમણે કહ્યું કે આ યાત્રાને લઈને દેશના ખૂણે-ખૂણે ચર્ચા થઈ રહી છે. રાહુલજીએ કહ્યું હતું કે નફરતને બાજુ પર રાખીને ભારતે એક થવું જોઈએ, આ વાત લોકોના દિલને સ્પર્શી ગઈ છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ છે.
યાત્રાથી સામાન્ય લોકોના મુદ્દાઓ પર વિચારવા મજબૂર થયા: બઘેલ
યાત્રાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે આ યાત્રાને લઈને સામાન્ય લોકોની સમસ્યાઓ વિશે વિચારવા મજબૂર કર્યા છે. ખાસ કરીને સમાજમાં જે નફરત ફેલાવવામાં આવી રહી છે તેને ગંભીરતાથી લેવામાં આવી છે. ભારત જોડો યાત્રા દ્વારા દેશ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પાછો ફર્યો છે, આ એક મોટી જીત છે. દેશના અન્ય રાજ્યોના અન્ય રાજકીય પક્ષોને સાથે લેવા કોંગ્રેસ પાર્ટીએ આમંત્રણ આપ્યું છે. હું આશા રાખું છું કે દરેક આવશે.