કુતુબમિનાર સંકુલમાં ખોદકામની વાત ખોટી, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું- આવો કોઈ નિર્ણય લેવાયો નથી
કુતુબ મિનાર (Qutub Minar) સંકુલમાં ખોદકામ સાથે જોડાયેલા સમાચાર મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તેના પર હવે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું છે કે સંકુલના ખોદકામને લગતો નિર્ણય લેવામાં આવ્યો નથી.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ ASI દ્વારા કુતુબ મિનાર સંકુલના ખોદકામને (Qutub Minar Excavation)લગતા મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.’ વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે સંસ્કૃતિ મંત્રાલયે કુતુબ મિનારમાં મૂર્તિઓની આઇકોનોગ્રાફી (Iconography) બનાવવાના નિર્દેશ આપ્યા છે. જે બાદ ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે ASI એક રિપોર્ટ તૈયાર કરીને સાંસ્કૃતિક મંત્રાલયને આપશે. જેના આધારે ખોદકામ શરૂ કરવામાં આવશે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કુતુબ મિનારની દક્ષિણ બાજુ અને મસ્જિદથી (Mosque)લગભગ 15 મીટર દૂર ખોદકામ કરવામાં આવી શકે છે. જો કે હવે ખુદ સાંસ્કૃતિક મંત્રીએ આવા અહેવાલોને નકારી કાઢ્યા છે.
અગાઉ એવા સમાચાર હતા કે સંસ્કૃતિ મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને તેમની ટીમ સાથે શનિવારે કુતુબ મિનારનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે કેટલાક અધિકારીઓ પણ આવ્યા હતા. ગોવિંદ મોહન ઉપરાંત, ટીમમાં ત્રણ ઈતિહાસકારો, ચાર ASI અધિકારીઓ અને સંશોધકો સહિત કુલ 12 લોકો સામેલ હતા. મીડિયા રિપોર્ટમાં ASI અધિકારીઓને જણાવવામાં આવ્યું છે કે કુતુબ મિનારમાં ખોદકામનું કામ 1991થી બંધ છે. આ સાથે રિસર્ચ સાથે જોડાયેલા અન્ય ઘણા કામો પણ બંધ છે. આ કારણો પણ ખોદકામ પાછળના કારણ તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
વિષ્ણુ સ્તંભની માંગ
કુતુબ મિનારને લઈને શરૂ થયેલા વિવાદ વચ્ચે વિષ્ણુ સ્તંભ પર ચર્ચાએ જોર પકડ્યું છે. તેની સતત માંગ કરવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર, હિન્દુ સંગઠનના એક કાર્યકર્તાએ કહ્યું કે મુઘલોએ તેમની પાસેથી વિષ્ણુ સ્તંભ છીનવી લીધો. એટલા માટે તેઓ તેમની માંગણી કરી રહ્યા છે. તેમણે માંગ કરી હતી કે કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરવું જોઈએ. અગાઉ અહીં રાખવામાં આવેલી ગણેશજીની મૂર્તિને લઈને ઘણો વિવાદ થયો હતો.
ભાજપના કાઉન્સિલરે પૂજાની માંગણી કરી હતી
રિપોર્ટ અનુસાર, મહેરૌલીના ભારતીય જનતા પાર્ટી (BJP) કોર્પોરેશન કાઉન્સિલર આરતી સિંહનું કહેવું છે કે કુતુબ મિનારમાં મૂર્તિઓને યોગ્ય સ્થાન પર રાખવી જોઈએ. જેથી ત્યાં પૂજા કરી શકાય. કહેવાય છે કે કુતુબમિનારમાં મંદિર અને દેવી-દેવતાઓની મૂર્તિઓને ખોટી જગ્યાએ મૂકીને તેમનું અપમાન કરવામાં આવી રહ્યું છે. આ વિવાદ દાયકાઓ જૂનો છે. એવા અહેવાલો હતા કે નેશનલ મોન્યુમેન્ટ્સ ઓથોરિટીએ ASIને કુતુબ મિનાર સંકુલમાં હિંદુ દેવતા ભગવાન ગણેશની બે મૂર્તિઓ દૂર કરવા કહ્યું હતું. કારણ કે તેમને જે રીતે રાખવામાં આવ્યા છે તે અપમાનજનક છે.