Farmers Protest : પંજાબના નવા સીએમ ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્રને કરી અપીલ, કહ્યું- ખેડૂતો સાથે પંજાબ સરકાર, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો
શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં સીએમ ચન્નીએ કહ્યું, પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો.
કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ હવે ચરણજીત સિંહ ચન્ની (Charanjit Singh Channi) રાજ્યના નવા મુખ્યમંત્રી (Chief Minister) તરીકે ચૂંટાયા છે. તેમણે સોમવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ પત્રકાર પરિષદમાં સીએમ ચન્નીએ કહ્યું, પંજાબ સરકાર ખેડૂતોની સાથે છે. અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે, ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચો.
મુખ્યમંત્રી ચન્નીએ કહ્યું, આ સામાન્ય માણસની સરકાર છે. કેપ્ટન અમરિંદર સિંહે પંજાબમાં શાનદાર કામ કર્યું છે. તેમણે કહ્યું, કોંગ્રેસે (Congress) સામાન્ય માણસને મુખ્યમંત્રી બનાવ્યા છે. હું કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું. અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું. શપથ લીધા બાદ તેમની પ્રથમ પત્રકાર પરિષદમાં ચન્નીએ એમ પણ કહ્યું હતું કે રેતી માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે અને તમામ મુદ્દાઓ ઉકેલાશે.
The party is supreme, not the CM or the cabinet. The government will work as per the party’s ideology: Punjab CM Charanjit Singh Channi pic.twitter.com/3cfoSlcjfu
— ANI (@ANI) September 20, 2021
રેતી માફિયાઓ અને ગેરકાયદે ખનન પર રોક લગાવવામાં આવશે
કોંગ્રેસના નેતૃત્વ દ્વારા નક્કી કરાયેલા 18 પોઇન્ટ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેઓ રાજ્યના લોકોને ખાતરી આપે છે કે આગામી દિવસોમાં તમામ મુદ્દાઓ ઉકેલાશે. મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, આજે આપણે રેતી માફિયાઓ અને ગેરકાયદે ખનન પર રોક લગાવવા માટે એક મોટું પગલું ભરીશું.
ખેડૂતોના આંદોલનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્રીય કૃષિ કાયદા રદ કરવા જોઈએ. તેમણે કહ્યું, પંજાબની એકતા, અખંડિતતા અને ભાઈચારો જાળવવો પડશે. આપણે બધાએ સાથે રહેવાનું છે અને પંજાબને આગળ લઈ જવાનું છે.
અમરિંદર સિંહના રાજીનામા બાદ દલિત નેતા ચરણજીત સિંહ ચન્નીને પંજાબના નવા મુખ્યપ્રધાન (New CM) તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે તેમણે સોમવારે રાજ્યના મુખ્યમંત્રી (Chief Minister) પદના શપથ ગ્રહણ કર્યા છે. તેઓ પંજાબના પ્રથમ દલિત નેતા છે, જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે.
58 વર્ષીય ચન્ની દલિત શીખ સમુદાયમાંથી આવે છે અને અમરિંદર સરકારમાં તેઓ ટેકનિકલ શિક્ષણ મંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ રૂપનગર જિલ્લાના ચમકૌર સાહિબ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. તેઓ વર્ષ 2007 માં પ્રથમ વખત આ પ્રદેશમાંથી ધારાસભ્ય બન્યા હતા. સાથે સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોનીએ પણ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે.આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : School Reopening: દેશભરમાં શાળાઓ ખોલવાની માગ, સુપ્રીમ કોર્ટે અરજી પર લીધો આ નિર્ણય
આ પણ વાંચો : પંજાબના મુખ્યપ્રધાન તરીકે ચરણજીત ચન્નીએ લીધા શપથ,રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ રહ્યા હાજર