પંજાબ કોંગ્રેસને મોટો ઝટકો, વરિષ્ઠ નેતા સુનીલ જાખડે આપ્યું રાજીનામું, કહ્યું- મારો હવે પાર્ટી સાથે કોઈ સંબંધ નથી
સુનીલ જાખડે વધુમાં કહ્યું કે કોંગ્રેસને (Congress) ચિંતન શિબિરથી કોઈ લાભ થશે નહીં. પાર્ટીએ પોતાની જાતને સુધારવી પડશે. ચિંતન નહી ચિંતા કરવાની જરૂર છે.
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે (Sunil Jakhar) કોંગ્રેસ પાર્ટી છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પરથી લાઈવ કરીને કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી. ફેસબુક લાઈવ દરમિયાન જાખડે કોંગ્રેસ નેતા અંબિકા સોની પર પ્રહારો કર્યા હતા. તેમણે સોનિયા ગાંધીને (Sonia Gandhi) અનેક સવાલો પણ પૂછ્યા. રાજસ્થાનના ઉદયપુરમાં યોજાઈ રહેલા ‘ચિંતન શિબિર’ પહેલા સુનીલ જાખડે કોંગ્રેસ પર સીધો હુમલો કરવાનો વિચાર છોડી દીધો હતો. જાખડે અગાઉ 13 મેના રોજ ઉદયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ બાદમાં તેમણે તેમ કર્યું ન હતું.
કોંગ્રેસે તાજેતરમાં સુનીલ જાખડ સામે શિસ્તભંગના પગલાં લીધા હતા અને તેમને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવ્યા હતા. પંજાબ કોંગ્રેસે તેમને બે વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાની ભલામણ કરી હતી, જેના પર સોનિયા ગાંધીએ નિર્ણય લેવો પડ્યો હતો. કોંગ્રેસની શિસ્ત કાર્યવાહી સમિતિએ ગયા મહિને 11 એપ્રિલના રોજ કે.વી. થોમસને અનુશાસનહીનતાના આરોપો પર કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી અને એક સપ્તાહમાં તેનો જવાબ માંગ્યો હતો. તેમના ફેસબુક લાઈવમાં તેમણે કહ્યું કે પાર્ટીની ચિંતન શિબિર માત્ર એક ઔપચારિકતા છે.
ચિંતન શિબિરથી કોઈ ફાયદો થશે નહીં – સુનીલ જાખડ
તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસને ચિંતન શિબિરથી કોઈ લાભ થશે નહીં. પાર્ટીએ પોતાની જાતને સુધારવી પડશે. ચિંતન નહી ચિંતા કરવાની જરૂર છે. જાખડે કહ્યું કે જો ખરેખર ચિંતા હોત તો કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં હાર માટે એક સમિતિની રચના કરી હોત. 403માંથી 300 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારને 2 હજાર મત પણ કેવી રીતે ન મળ્યા તેનું કારણ શોધવું જોઈએ. તેનાથી વધુ મત માત્ર પંચાયતના ઉમેદવારને મળે છે. તેમણે કહ્યું કે આ માટે ઉમેદવાર જવાબદાર નથી, પરંતુ ટોચના નેતાઓ અને પાર્ટી નેતૃત્વએ કોંગ્રેસની આ દુર્દશા કરી છે.
ભગવંત માને સુનીલ જાખડની સુરક્ષા ઓછી કરી
તમને જણાવી દઈએ કે સુનીલ જાખડ પર વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીને નુકસાન પહોંચાડનારા નિવેદનો આપવા અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ હતો. કોંગ્રેસ નેતા ઉદિત રાજે ખુલ્લેઆમ માગ કરી હતી કે જાખડને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવે. તાજેતરમાં, આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની પંજાબ સરકારે સુનીલ જાખડ સહિત રાજ્યના આઠ વરિષ્ઠ નેતાઓની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો.