પંજાબ સરકારે ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ લગાવ્યો, માત્ર 2 કલાક ગ્રીન ફટાકડાની મંજુરી
નવેમ્બર 2020માં ખરાબ એર ક્વોલીટી ઇન્ડેક્સ (poor air quality index)ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પંજાબ સરકારે (Punjab Govt) આ દિવાળી (Diwali 2021) પર ફટાકડા (firecrackers)ના વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણ રાખવા માટે નવી નીતિ જાહેર કરી છે. રાજ્ય સરકારે મંગળવારે ફટાકડાના ઉત્પાદન, વિતરણ, વેચાણ અને ઉપયોગ સહિત ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ રાજ્યભરમાં દિવાળી પર ગ્રીન ફટાકડા વેચવા માટે બે કલાકનો સમય આપવામાં આવ્યો છે.
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના આદેશ અનુસાર પંજાબના મંડી ગોવિંદગઢ અને જલંધર જિલ્લામાં 28-29 ઓક્ટોબરની મધ્યરાત્રિથી 31 ડિસેમ્બરની મધ્યરાત્રિ સુધી કોઈપણ પ્રકારના ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. નવેમ્બર 2020માં ખરાબ એર ક્વોલીટી ઇન્ડેક્સ (poor air quality index)ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પંજાબના અન્ય ભાગોમાં દિવાળી, ગુરુપૂરબ, ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વ સંધ્યા જેવા તહેવારો દરમિયાન ખૂબ જ ઓછા સમય માટે ગ્રીન ફટાકડાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
સરકારે કહ્યું કે સંબંધિત અધિકારીઓને વધુ ફટાકડા વાળા વિસ્તારોને ઓળખવા અને માહિતીનો પ્રસાર કરવા નિયુક્ત કરવામાં આવ્યાં છે. આ સિવાય એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિતની ઈ-કોમર્સ વેબસાઈટોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ ઓર્ડર સ્વીકારે નહીં. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “પોલીસ અધિકારીઓએ સુનિશ્ચિત કરશે કે ગ્રીન ફટાકડાનું વેચાણ અને ઉપયોગ માત્ર નિર્ધારિત સમય દરમિયાન અને નિયુક્ત સ્થળોએ જ થાય.” આદેશ મુજબ દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી, નાતાલના દિવસે રાત્રે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી અને નવા વર્ષના દિવસે રાત્રે 11.55 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ છે.
દિલ્હીમાં પણ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે દિલ્હી સરકારે શહેરમાં પ્રદૂષણના ભયજનક સ્તરને ધ્યાનમાં રાખીને દર વર્ષે દિવાળી દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ લોકોના જીવ બચાવવા માટે આ પ્રતિબંધ લગાવવો જરૂરી હતો. ગત વર્ષે વેપારીઓ દ્વારા ફટાકડાનો સ્ટોક કર્યા બાદ પ્રદૂષણની ગંભીરતાને ધ્યાને લઈ મોડેથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું.
આ પણ વાંચો : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં કોર્ટે આરોપી મોહમ્મદ ખાનને ત્રણ દિવસ NIAની કસ્ટડીમાં ધકેલ્યો
આ પણ વાંચો : સબમરીનની ખાનગી માહિતી લીક કરવાના આરોપમાં એક નેવી કમાન્ડર સહીત 5ની ધરપકડ, CBIએ 19 જગ્યાએ રેડ કરી