Prophet Muhammad Remark : નૂપુર શર્માના નિવેદન પર દિલ્હીથી બંગાળ સુધી વિરોધ, કોલકાતામાં લોકોએ પ્રદર્શન કર્યું
રાજધાની દિલ્લી અને કોલકાતામાં ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
Prophet Muhammad Remark: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપના સસ્પેન્ડ કરાયેલા પ્રવક્તા નૂપુર શર્મા (Nupur Sharma) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન. નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પયગંબર મુહમ્મદ પર કરેલી ટીપ્પણીને લઈને બીજેપી નેતા નૂપુર શર્માનો વિરોધ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. આજે એટલે કે શુક્રવારની નમાજ (Namaz)પછી દિલ્હીથી પશ્ચિમ બંગાળ સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું (Protest Against Nupur Sharma in West Bengal). પ્રાર્થના પછી, મુસ્લિમ સમુદાયના લોકોએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ નૂપુર શર્માની કથિત વાંધાજનક ટિપ્પણીને લઈને રાજ્યભરની મસ્જિદોમાં વિરોધ પ્રદર્શન કર્યા.
રાજધાની દિલ્હી અને કોલકાતામાં પણ વિરોધ પ્રદર્શનો થયા હતા. આ દરમિયાન, પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરનારાઓની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.
અપમાનજનક ટિપ્પણી કરનારાઓની ધરપકડ કરવાની માંગ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જમીયતુલ ઇમામ અલ ઉલેમા સહિત અન્ય સંગઠનોએ વિરોધનું એલાન આપ્યું છે. ઈમામ અને ઉલેમાના આ સંગઠન દ્વારા મસ્જિદમાં શુક્રવારની નમાજ બાદ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન, પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરનારાઓની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે પણ મુસ્લિમ સમુદાયના લોકોએ હાવડામાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બ્લોક કરી દીધા હતા.
મોટા પાયે આંદોલન કરવાની ચેતવણી આપી
આ વિરોધ NH-116 પર અંકુરહાટી પાસે થયો હતો. જેના કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો.ગુસ્સે ભરાયેલા લોકોએ NH-116 પર આગચંપી અને હંગામો પણ કર્યો હતો. રાજધાની કોલકાતાની પાસે આવેલા હાવડામાં લઘુમતી બહુલ વિસ્તારોમાં, મુસ્લિમ સમુદાયના હજારો લોકો વિરોધ કરવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર ઉતરી આવ્યા હતા અને રસ્તાને બ્લોક કરી દીધા હતા. રાજ્યના સૌથી વ્યસ્ત એક્સપ્રેસ વે પર સેંકડો લઘુમતીઓ એકઠા થયા અને રસ્તાઓ પર ટાયરો સળગાવી દીધા. જેના કારણે બંને તરફ સેંકડો વાહનોનો ધસારો થયો હતો.
બંગાળ ઇમામ એસોસિએશનના બેનર હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં સામેલ લોકોએ હિંસક કાર્યવાહી કરી અને નૂપુર શર્મા વિરુદ્ધ નિવેદનો આપ્યા. ત્યાં હાજર લોકોએ જ્યાં સુધી નુપુરને કડક સજા નહીં કરવામાં આવે ત્યાં સુધી મોટા પાયે આંદોલન કરવાની ચેતવણી આપી હતી.