નવા બનેલા પ્રધાનોને નરેન્દ્ર મોદીની સુચના, સંસદમાં પુછાનારા પ્રશ્નોની પૂરી તૈયારી સાથે આવો, જાણો પ્રધાનમંડળની બેઠકની મહત્વની વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, દરેકે સંસદ ગૃહમાં હાજર રહેવુ, બધાએ તેમને ફાળવેલી જવાબદારી સુપેરે નિભાવવી જોઈએ. આ બાબતે કોઈ ક્ષતિ ચલાવી નહી લેવાય.
સંસદના ચોમાસુ સત્ર શરૂ થયા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, (Prime Minister Narendra Modi ) બુધવારે કેન્દ્રીય પ્રધાન મંડળની બેઠક ( cabinet meeting ) યોજી હતી. જેમાં નવા બનેલા પ્રધાનોને સંપૂર્ણ તૈયારી સાથે સંસદમાં આવવા માટે મોદીએ જણાવ્યુ હતું. પ્રધાનમંડળની બેઠકમાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહ્યુ હતુ કે, સંસદીય પ્રશ્નોની પૂરેપૂરી તૈયારી કર્યા બાદ જ આવે. જો કે સૂત્રોના જણાવ્યાનુસાર, વડાપ્રધાન પ્રધાનમંડળના તમામ સભ્યો અને તેમા પણ ખાસ કરીને નવા બનેલા પ્રધાનોએ વધુને વધુ સમય ગૃહમાં ફાળવવા જણાવ્યુ છે.
વડા પ્રધાન મોદીએ તમામ નવા પ્રધાનોને તેમના વિભાગના કેબિનેટ મંત્રી સાથે બેસીને, મંત્રાલય સંબંધિત દરેક કામનો અભ્યાસ કરવા અને સંસદગૃહમાં સક્રિય રહેવા સ્પષ્ટ રીતે કહ્યું હતું. પ્રધાનમંડળના વિસ્તરણ બાદ, એક સપ્તાહમાં જ વડા પ્રધાન મોદીએ બુધવારે બીજી વાર પ્રધાન મંડળની બેઠક બોલાવી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 2 કલાક સુધી ચાલેલી બેઠકમાં વડા પ્રધાન મોદીએ લગભગ અડધો કલાક સંબોધન કર્યુ હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રધાનમંડળની બેઠકની શરૂઆત, સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા બનાવેલા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનની રજૂઆત સાથે હતી. પ્રધાનમંડળની બેઠકમાં ઊર્જા મંત્રાલયે પણ પ્રેઝન્ટેશન રજુ કર્યુ હતું. સંસદીય બાબતોના મંત્રાલયના પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશનમાં મુખ્યત્વે સંસદની કાર્યવાહીના નિયમો, સંસદ કેવી રીતે કાર્ય કરે છે, શું કરવું અને શું ન કરવુ, સંસદના કેટલાક નિયમો સહીતના વિષયો પર માહિતી આપવામાં આવી હતી.
સુત્રોએ ત્યા સુધી કહ્યુ કે, પ્રધાનમંડળની બેઠક દરમિયાન વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ નવા નિમાયેલા પ્રધાનોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, વિપક્ષ દ્વારા સખત અને મોટા પ્રશ્નો ઉભા કરવામાં આવશે. તે માટે તમારે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ રાખવી જોઈશે. તેમણે તેમના તમામ સાથીઓને કહ્યું કે દરેકને સંસદના કાયદા અને નિયમોનું સંપૂર્ણ અભ્યાસ અને જાણકારી હોવી જોઈએ.
વડાપ્રધાને તેમના તમામ કેબિનેટ પ્રધાનોને કહ્યું કે સંસદમાં થતી ચર્ચાની ગુણવત્તા વધુ સારી હોવી જોઈએ, આ માટે સંપૂર્ણપણ પૂર્વ તૈયારી કરવી જોઈએ. વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યસભામાં ઉચ્ચસ્તરીય ચર્ચાઓથી તમામ નવા પ્રધાન સાંભળી અને શીખી શકે છે.
નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ), સ્પષ્ટપણે સંદેશ આપ્યો હતો કે દરેકને સંસદમાં હાજર રહેવું જોઈએ અને બધાએ પોતાના ભાગે પડતી ફરજ અને જવાબદારી યોગ્ય રીતે નિભાવવી જોઈએ, આમાં કોઈ પણ ક્ષતિ કોઈ પણ કિંમતે સહન કરવામાં નહી આવે. વડા પ્રધાને તમામ પ્રધાનોને એમ પણ કહ્યુ હતું કે, તેઓએ એક ટીમ તરીકે કામ કરવું જોઈએ અને કેબિનેટકક્ષાના પ્રધાનોએ અને તેમના રાજ્યકક્ષાના પ્રધાનોને દરેક મુદ્દે સાથે રાખીને નિર્ણય લેવા જોઈએ.