વડાપ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ક્વાડ નેતાઓની વર્ચ્યુઅલ મીટિંગમાં ભાગ લેશે
ક્વાડને બિન-લશ્કરી સંગઠન તરીકે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી સમગ્ર વિશ્વમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ક્વાડના સભ્યો વચ્ચે ભારતને સાથ આપવો કે નહીં તે અંગે વિચારણા કરાઇ રહી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે( 3 માર્ચ 2022)ના રોજ યુક્રેન-રશિયા (Russia-Ukraine War) વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચર્ચા- વિચારણા કરવા માટે આજે યુએસ પ્રમુખ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે QUAD નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. આ 4 નેતાઓ છેલ્લીવાર ગત તા. 24 સપ્ટેમ્બર 2021ના રોજ તેમની ક્વાડની પ્રથમ વ્યક્તિગત બેઠક દરમિયાન મળ્યા હતા, જે અંતર્ગત ઈન્ડો-પેસિફિક વ્યૂહમંત્રણા (Indo-Pasific Region) અને કોવિડ-19 (Covid-19) પર વાતચીત કરવામાં આવી હતી.
ક્વાડ રાષ્ટ્રો શું છે ?
હિંદ મહાસાગરમાં (Indian Ocean) વિનાશક સુનામી પછી, ભારત, જાપાન, ઑસ્ટ્રેલિયા અને યુએસએ આપત્તિ નિવારણ રાહત પ્રયાસોને ટેકો આપવા માટે આ અનૌપચારિક જોડાણ બનાવ્યું હતું. ક્વાડ રાષ્ટ્રો (QUAD Nations) એ યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રચાયેલી વ્યૂહાત્મક સુરક્ષા સંવાદ સમિતિ છે, જે સભ્ય દેશો વચ્ચેની મંત્રણા દ્વારા જાળવવામાં આવે છે. વર્ષ 2007માં જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે દ્વારા યુએસના ઉપપ્રમુખ ડિક ચેની, ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન જ્હોન હોવર્ડ અને ભારતીય વડા પ્રધાન મનમોહન સિંઘના સમર્થન સાથે આ સંવાદ સમિતિની શરૂઆત કરવામાં આવી હતી. ચીનની તત્કાલીન સરકાર દ્વારા આ સમિતિને ‘એશિયન નાટો’ નામ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્વાડને બિન-લશ્કરી સંગઠન તરીકે દર્શાવવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા 2 દિવસથી સમગ્ર વિશ્વમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ક્વાડના સભ્યો વચ્ચે ભારતને સાથ આપવો કે નહીં તે અંગે વિચારણા કરાઇ રહી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, આ નેતાઓને સપ્ટેમ્બર 2021માં વોશિંગ્ટન ડીસીમાં યોજાનારી સમિટ બાદ તેમની વાતચીત ચાલુ રાખવાની તક મળશે.
આ બેઠકમાં સામેલ તમામ નેતાઓ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ વિકાસ વિશે વિચારો અને મૂલ્યાંકનોનું આદાનપ્રદાન કરશે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, આ બેઠકમાં સામેલ તમામ ક્વાડ નેતાઓ આજે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા કરી શકે છે.
યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ એક અઠવાડિયાથી ચાલુ છે
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 8મો દિવસ છે. રશિયાની સેના યુક્રેનની રાષ્ટ્રીય રાજધાની કિવ પર સતત બોમ્બમારો અને મિસાઈલ ફાયર કરી રહી છે. આજે યુક્રેન અને રશિયા વચ્ચે બીજા રાઉન્ડની બેઠક યોજાવાની છે. સમગ્ર વિશ્વને આશા છે કે આમાં કોઈ ને કોઈ ઉકેલ મળશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર ઓલેકસી એરેસ્ટોવિચે કહ્યું કે, આજે ખાર્કિવમાં 21મી સદીનો સ્ટાલિનગ્રેડ છે. ખાર્કિવના પ્રાદેશિક વહીવટના વડા, ઓલેગ સિન્યુબોવે જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ છેલ્લા 24 કલાકમાં 21 યુક્રેનિયનોની હત્યા કરી છે. અને રશિયા તરફી હુમલામાં 112 નાગરિકો ઘાયલ થયા હતા.
141 દેશોએ યુક્રેનમાંથી રશિયન સૈનિકો પાછા ખેંચવાના પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું
સંયુક્ત રાષ્ટ્ર (UN) મહાસભામાં એક ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, રશિયાએ હવે યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવી જોઈએ. પરંતુ ભારતે આ મતદાનમાં ભાગ લીધો ન હતો. UN જનરલ એસેમ્બલીમાં તેના સમર્થનમાં 141 મત પડ્યા હતા, જ્યારે 35 દેશોએ આ મતદાનમાં ભાગ લીધો ન હતો. આ ઉપરાંત, 5 દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ અંગે ટ્વિટ કર્યું હતું કે, “હું આ વિશ્વાસઘાતી હુમલાને તાત્કાલિક રોકવા માટે રશિયન ફેડરેશન દ્વારા ખસેડવામાં આવેલા અભૂતપૂર્વ બહુમતી ઠરાવનું સ્વાગત કરું છું.”
આ પણ વાંચો – રશિયામાં ભારતની બે બેંકોની ઉપસ્થિતિ, વૈશ્વિક પ્રતિબંધોના પગલે રશિયા સાથે કારોબાર અટકાવ્યો