Nupur Sharma Controversy : નૂપુર શર્માના સમર્થનમાં વિદ્યાર્થીનીએ સોશિયલ મીડિયામાં લખી પોસ્ટ, અન્ય વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી બળજબરીથી મંગાવી માફી
પંજાબમાં કાશ્મીરની એક વિદ્યાર્થીનીએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કર્યા બાદ ભારે હંગામો મચી ગયો છે. જલંધરની સીટી ઈન્સ્ટિટ્યૂટમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો અને પોસ્ટ લખનાર વિદ્યાર્થીની પાસેથી બળજબરીથી માફી મંગાવી.
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના (Nupur Sharma) નિવેદન બાદ દેશમાં શરૂ થયેલા વિવાદ પંજાબમાં (Punjab) પણ પહોંચ્યો છે. પંજાબના જલંધરમાં આવેલી ખાનગી શૈક્ષણિક સંસ્થા સીટી ઈન્સ્ટિટ્યૂટમાં મોટો વિવાદ થયો છે. આ વિવાદ સંસ્થાની એક વિદ્યાર્થીનીએ નૂપુર શર્માની તરફેણમાં પોસ્ટ મૂક્યા પછી શરૂ થયો હતો. સંસ્થામાં અભ્યાસ કરતી જમ્મુની એક હિંદુ વિદ્યાર્થીનીએ શુક્રવારે રાત્રે સોશિયલ મીડિયા (Social media) પર નૂપુર શર્માની તરફેણમાં પોસ્ટ કરી હતી. આનાથી સંસ્થામાં અભ્યાસ કરતા મુસ્લિમ વિદ્યાર્થીઓ ગુસ્સે થયા હતા અને તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓએ ભેગા થઈને સંસ્થામાં ભારે હોબાળો મચાવ્યો હતો.
દબાણપૂર્વક માફી મંગાવી
મીડિયા રિપોર્ટ અનુસાર, પંજાબની શૈક્ષણિક સંસ્થામાં ભણતા તમામ વિદ્યાર્થીઓ જમ્મુ-કાશ્મીરના જ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, સ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે સંસ્થામાં પોલીસ ફોર્સ તૈનાત કરવી પડી હતી. આ સમગ્ર વિવાદ શુક્રવારે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ શરૂ થયો હતો અને સવારે 5 વાગ્યા સુધી ચાલ્યો હતો. સંસ્થાના મુસ્લિમ વિદ્યાર્થીઓએ હિન્દુ વિદ્યાર્થીની પાસેથી બળજબરીથી માફી પણ મંગાવી હતી. એટલું જ નહીં, પોલીસ અને સંસ્થાના મેનેજમેન્ટે પણ આ સમગ્ર વિવાદમાં હિન્દુ યુવતીને દોષી ઠેરવી અને તેને ખોટી ગણાવી.
કેમ્પસમાં હોબાળો
મુસ્લિમ વિદ્યાર્થીઓની ભીડ જોઈને સીટી ઈન્સ્ટિટ્યૂટમાં ભણતા હિન્દુ વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ નામ ન આપવાની શરતે મીડિયાને જણાવ્યું હતું કે મુસ્લિમ વિદ્યાર્થીઓએ આખી રાત હંગામો મચાવ્યો હતો અને વાતાવરણ તંગ થઈ જવા પામ્યુ હતું. હંગામો મચાવનારા વિદ્યાર્થીઓએ જોરશોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેમ્પસમાં તોડફોડ પણ કરી હતી. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે હિંદુ વિદ્યાર્થીઓએ પોતાની સુરક્ષા માટે છુપાઈ જવું પડ્યું હતું. મળતી માહિતી મુજબ, નૂપુર શર્માની તરફેણમાં પોસ્ટ મૂકનાર વિદ્યાર્થીની પર દબાણ કરીને માફી મંગાવ્યા બાદ આ વિવાદ ઉકેલાઈ ગયો હતો. સંસ્થાના પીઆરઓ, કંવરપ્રીતે સ્વીકાર્યું કે કાશ્મીરના મુસ્લિમ વિદ્યાર્થીઓએ રાત્રે કેમ્પસમાં ખૂબ હંગામો મચાવ્યો હતો.