Population Control Act : જનસંખ્યા નિયંત્રણ કાયદા માટે હવે સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act) લાગુ કરવાની માંગ કરી છે.
હિન્દુ ધાર્મિક નેતા સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને દેશમાં જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act) લાગુ કરવાની માંગ કરી છે.
દેશની અડધી સમસ્યા માટે વસ્તીવધારો જવાબદાર સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ પોતાની અરજીમાં કહ્યું છે કે અનિયંત્રિત ગતિએ વધી રહેલી વસ્તી દેશની અડધી સમસ્યાઓ માટે સીધી જવાબદાર છે. સરકાર ન તો વધતી જતી વસ્તીને રોજગાર પૂરા પાડવા માટે સક્ષમ છે, ન તો દરેક માટે ખોરાક, આશ્રય અને પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે સક્ષમ છે, તેથી લોકોની મૂળભૂત જરૂરિયાતોને પહોંચી વળવા કડક જનસંખ્યા નિયંત્રણ કાયદો જલ્દી લાગુ કરવા જોઈએ. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવામાં નહીં આવે તો દેશ ભાંગશે.
20 એપ્રિલે થઇ શકે છે સુનાવણી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીની આ જનસંખ્યા નિયંત્રણ કાયદો (Population Control Act)ની અરજી પર અન્ય એક અરજી સાથે 20 એપ્રિલે સુનાવણી થઈ શકે છે. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદે જણાવ્યું હતું કે વિશ્વની જમીનમાંથી આપણા દેશની જમીન માત્ર બે ટકા છે, વિશ્વની કુલ જળ સંપત્તિમાં આપણી પાસે ફક્ત ચાર ટકા જ છે, જ્યારે આપણી વસ્તી વિશ્વની વસ્તીમાં આશરે 20 ટકા છે. આપણા દેશમાં વસ્તી હજી પણ અનિયંત્રિત ગતિએ આગળ વધી રહી છે.
વોટબેંકના કારણે કોઈ સરકાર ન લાવી કાયદો તેમણે કહ્યું કે બંધારણની એક સૂચિમાં દેશમાં વસ્તી નિયંત્રણ સંબંધિત કાયદા રજૂ કરવામાં આવ્યા છે. તે કોઈ પણ ધર્મની વિરૂદ્ધ નથી. વોટબેંકને લીધે આજ સુધી કોઈ પણ સરકારે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવામાં ટાળ્યું છે. આથી જ તેમને આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જવાની ફરજ પડી છે.સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર વધતી વસ્તીમાં દરેકને ખોરાક, પાણી કે રોજગાર પૂરા પાડવા સક્ષમ નથી. દેશના દરેક રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે. આ બધી સમસ્યાઓનું મૂળ વધતી જતી વસ્તીમાં રહેલું છે. જો દેશની વસ્તી ઓછી હશે તો બધાને રોજગારની સાથે સ્વચ્છ વાતાવરણ અને ખાદ્ય અને પાણી આપવાનું શક્ય બનશે.
આ પહેલા પણ કેસ ચાલી રહ્યો છે સુપ્રીમ કોર્ટમાં પહેલાથી જ તેના જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાની માંગ કરતી અરજી પર સુનાવણી ચાલી રહી છે. 10 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાય વતી દાખલ આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી. પરંતુ કેન્દ્ર સરકાર અથવા કાયદા મંત્રાલયે આ મામલે હજુ સુધી કોઈ જવાબ રજૂ કર્યો નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ મામલે પોતાનું વલણ જણાવ્યું હતું અને કહ્યું હતું કે દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાની જરૂર નથી. પરંતુ આ કેસમાં કોઈ પક્ષ ન હોવાથી કોર્ટમાં આ પક્ષ સ્વીકારાયો નથી. કેસની સુનાવણી ચાલી રહી છે.