સૌરવ ગાંગુલી ભાજપમાં ના જોડાતા, BCCIમાંથી હાંકી કાઢીને રાજકીય બદલો લેવાયો, TMCએ અમિત શાહનુ નામ લઈને કર્યા આક્ષેપ
ટીએમસી નેતા ડૉ. શાંતનુ સેને ટ્વીટ કર્યું, 'રાજકીય પ્રતિશોધનું બીજું ઉદાહરણ. અમિત શાહનો પુત્ર સચિવ તરીકે ચાલુ રહ્યો, પરંતુ સૌરવ ગાંગુલી નહીં. શું તે મમતા બેનર્જીના રાજ્યમાંથી છે માટે કે પછી તેઓ ભાજપમાં જોડાયા નથી એટલા માટે ? દાદા અમે તમારી સાથે છીએ.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નામ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ગાંગુલી પ્રમુખ પદ છોડશે તેવા અહેવાલો વચ્ચે પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસે (TMC) ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. ટીએમસીનું કહેવું છે કે ભાજપે ગાંગુલીને પાર્ટીમાં સામેલ કરવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા. પાર્ટીનું કહેવું છે કે પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી રાજકીય બદલાનો શિકાર બન્યો છે.
ટીએમસી નેતા ડૉ. શાંતનુ સેને કહ્યું, ‘અમિત શાહ થોડા મહિના પહેલા સૌરવ ગાંગુલીના ઘરે ગયા હતા. તે જાણીતું છે કે ભાજપમાં જોડાવવા માટે ગાંગુલીનો વારંવાર સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. કદાચ તેઓ ભાજપમાં જોડાવવા માટે સંમત ન હતા અને તેઓ બંગાળના છે તેથી તેઓ રાજકીય વેરનો ભોગ બન્યા છે. ખાસ વાત એ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થોડા સમય પહેલા પૂર્વ ક્રિકેટરના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા.
Amit Shah visited Sourav Ganguly’s house few months ago.There’s info Ganguly was approached repeatedly to join BJP.Probably as he hasn’t consented to join BJP&is from Bengal,he’s become prey to political vendetta.Amit Shah’s son retained as BCCI secy,but not Ganguly: Dr S Sen,TMC pic.twitter.com/WpvNpfrSJ4
— Tv9 Gujarati (@tv9gujarati) October 12, 2022
અગાઉ પણ, TMC એ ભાજપ પર ભૂતપૂર્વ ક્રિકેટરનુ “અપમાન કરવાના પ્રયાસ”નો આરોપ મૂક્યો હતો. ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું, ‘અમે આ મામલે સીધું કંઈ કહી રહ્યાં નથી. ચૂંટણી બાદ ભાજપ દ્વારા આ પ્રકારનો પ્રચાર ચાલી રહ્યો હોવાથી આવી અટકળોનો જવાબ આપવાની જવાબદારી ભાજપની છે. એવું લાગે છે કે ભાજપ સૌરવનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
શું છે સમગ્ર બાબત
એવા અહેવાલો છે કે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની, બીસીસીઆઈના અધ્યક્ષ ગાંગુલીનું સ્થાન લઈ શકે છે. બિન્ની 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય હતા. તેમણે મંગળવારે જ આ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. 18 ઓક્ટોબરે યોજાનારી બોર્ડની વાર્ષિક બેઠકમાં તેઓ બિનહરીફ ચૂંટાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકીય બદલાનો આક્ષેપ
બીસીસીઆઈ અધ્યક્ષ પદની રેસમાંથી ગાંગુલીનું નામ હટાવવાના સમાચાર સામે આવતા જ ટીએમસીએ ભાજપ પર પ્રહારો શરૂ કર્યા છે. ટીએમસી નેતા ડૉ. શાંતનુ સેને ટ્વીટ કર્યું, ‘રાજકીય પ્રતિશોધનું બીજું ઉદાહરણ. અમિત શાહનો પુત્ર સચિવ તરીકે ચાલુ રહ્યો, પરંતુ સૌરવ ગાંગુલી નહીં. શું તે મમતા બેનર્જીના રાજ્યમાંથી છે માટે કે પછી તેઓ ભાજપમાં જોડાયા નથી એટલા માટે ? દાદા અમે તમારી સાથે છીએ.