PM મોદીએ ઇન્ડિયા ગેટ ખાતે સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું કર્યુ અનાવરણ
ગ્રેનાઈટથી બનેલી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા તે જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે જ્યાં એક સમયે રાજા જ્યોર્જ પાંચમની પ્રતિમા હતી અને જેને 1968માં હટાવી દેવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) ઈન્ડિયા ગેટ ખાતે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની (Subhas Chandra Bose) હોલોગ્રામ પ્રતિમાનું (Hologram Statue) અનાવરણ કર્યું. પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે ભારત માતાના બહાદુર પુત્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર હું સમગ્ર દેશ વતી નમન કરું છું. આ દિવસ ઐતિહાસિક છે, આ સમયગાળો પણ ઐતિહાસિક છે અને આ સ્થળ જ્યાં આપણે બધા એકઠા થયા છીએ તે પણ ઐતિહાસિક છે. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારતની ધરતી પર પ્રથમ સ્વતંત્ર સરકારની સ્થાપના કરનાર આપણા નેતાજીની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ (India Gate) પાસે ડિજિટલ સ્વરૂપમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ આ હોલોગ્રામ સ્ટેચ્યુની જગ્યાએ ગ્રેનાઈટની વિશાળ પ્રતિમા બનાવવામાં આવશે.
આ દરમિયાન પીએમ મોદીએ વર્ષ 2019, 2020, 2021 અને 2022 માટે ‘સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ પણ અર્પણ કર્યો હતો. આ અંતર્ગત કુલ 7 એવોર્ડ આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતમાં વિવિધ લોકો અને સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાની કદર અને સન્માન કરવા વાર્ષિક સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના કરી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં 2001માં આવેલા ભૂકંપ પછી જે બન્યું તેનાથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનો અર્થ બદલાઈ ગયો. અમે તમામ વિભાગો અને મંત્રાલયોને રાહત અને બચાવ કાર્યમાં લગાવી દીધા હતા. તે સમયના અનુભવોમાંથી શીખીને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2003માં ઘડવામાં આવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે રાહત, બચાવ અને પુનર્વસન પર ભાર મુકવાની સાથે અમે સુધારા ઉપર પણ જોર આપ્યું છે. અમે સમગ્ર દેશમાં NDRFને મજબૂત, આધુનિક, વિસ્તૃત કર્યું. સ્પેસ ટેક્નોલોજીથી લઈને પ્લાનિંગ અને મેનેજમેન્ટ સુધી, શ્રેષ્ઠ સંભવિત પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી.
આપદા પ્રબંધન પુરસ્કાર હેઠળ, કોઈ સંસ્થાને 51 લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને વ્યક્તિના કિસ્સામાં, 5 લાખ રૂપિયા અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
#WATCH | Prime Minister Narendra Modi unveiled hologram statue of Netaji Subhas Chandra Bose at India Gate on his 125th birth anniversary #ParakramDiwas pic.twitter.com/vGQMSzLgfc
— ANI (@ANI) January 23, 2022
હોલોગ્રામની ચોક્કસ અસર બનાવવા માટે, તેના પર નેતાજીનું 3D ચિત્ર મૂકવામાં આવ્યું છે. હોલોગ્રામ પ્રતિમા 28 ફૂટ ઊંચી અને 6 ફૂટ પહોળી છે. પીએમ મોદીએ (PM Modi) 21 જાન્યુઆરીએ જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ગેટ (India Gate) પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે અને ગ્રેનાઈટની પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા ત્યાં સ્થાપિત કરવામાં આવશે.
અગાઉ, વડા પ્રધાને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “તમામ દેશવાસીઓને પરાક્રમ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની 125મી જન્મજયંતિ પર મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર નમન કરું છું. દરેક ભારતીયને આપણા દેશમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન પર ગર્વ છે.”
ગ્રેનાઈટથી બનેલી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા તે જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે જ્યાં એક સમયે રાજા જ્યોર્જ પાંચમની પ્રતિમા હતી અને જેને 1968માં હટાવી દેવામાં આવી હતી. ઈન્ડિયા ગેટ પર નેતાજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવાની જાહેરાતનું સ્વાગત કરતા સુભાષ ચંદ્ર બોઝની પુત્રી અનિતા બોઝ ફાફ એ કહ્યું હતું કે નેતાજી ભારતીયોના હૃદયમાં કાયમ રહ્યા છે, રહેતા હતા અને રહેશે.
આ પણ વાંચોઃ