27 થી 29 ઓક્ટોબર 2021 દરમિયાન હિન્દ- પ્રશાંત પ્રાદેશિક સંવાદ 2021નું આયોજન
IPRD 2021નું આયોજન 27, 28 અને 29 ઓક્ટોબર 2021ના રોજ ઑનલાઇન માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. IPRDનું મુખ્ય ફોકસ આઠ વિશેષ પેટા વિષયો પર છે
વર્ષ 2018માં પ્રથમ વખત યોજવામાં આવેલો હિન્દ-પ્રશાંત પ્રાદેશિક સંવાદ (IPRD) ભારતીય નૌસેનાનું સર્વોચ્ચ આંતરરાષ્ટ્રીય વાર્ષિક સંમેલન અને વ્યૂહાત્મક સ્તરે નૌસેનાની સક્રિયતા દર્શાવવાનું મુખ્ય માધ્યમ છે. નેશનલ મેરિટાઇમ ફાઉન્ડેશન ભારતીય નૌસેનામાં જ્ઞાન ભાગીદાર છે અને આ કાર્યક્રમનું વાર્ષિક ધોરણે આયોજન કરવામાં તે મુખ્ય ભૂમિકા નિભાવે છે. IPRDના દરેક આયોજનનો ઉદ્દેશ હિન્દ- પ્રશાંત પ્રદેશમાં ઉભરતા પડકારો અને તકોની સમીક્ષા કરવાનો હોય છે. IPRD -2018માં ચાર પેટા-વિષયો પર ધ્યાન આપવામાં આવ્યું હતું.
જેમાં સામેલ છે: સમુદ્રી વેપાર, પ્રાદેશિક કનેક્ટિવિટી, સમગ્ર પ્રદેશના પડકારો જેમાં સતત સમુદ્રી દેખરેખ, સમુદ્રી ગતિવિધીઓના ડિજિટલાઇઝેશનમાં વૃદ્ધિ, સમુદ્રી વિસ્તારની અંદર સાઇબર જોખમો અને સમુદ્રી સુરક્ષાના ધરમૂળથી વિકાસમાં ઉદ્યોગની ભૂમિકા. IPRD -2019ના આયોજનથી આ સંમેલનના પહેલા આયોજનનો મજબૂત પાયો તૈયાર થયો હતો. આ દરમિયાન પાંચ વિષયવસ્તુઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં સામેલ છે: સમુદ્રી કનેક્ટિવિટી દ્વારા સમગ્ર ક્ષેત્રમાં પારસ્પરિક જોડાણ માટે વ્યવહારુ ઉકેલ, હિન્દ- પ્રશાંતને મુક્ત રાખવાના ઉપાય, બ્લ્યુ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક સંભાવનાઓની ચકાસણી, સમુદ્રી ઉદ્યોગ 4.0થી ઉભી થતી તકો અને સાગર તેમજ સાગરમાલાથી ઉભી થતી પ્રાદેશિક સંભાવનાઓ.
IPRD 2021નું આયોજન 27, 28 અને 29 ઓક્ટોબર 2021ના રોજ ઑનલાઇન માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. IPRDનું મુખ્ય ફોકસ આઠ વિશેષ પેટા વિષયો પર છે જે એક વિસ્તૃત વિષયવસ્તુ “ઇવોલ્યૂશન ઇન મેરિટાઇમ સ્ટ્રેટેજી ડ્યૂરિંગ ધ ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરી: ઇમ્પરેટિવ્સ, ચેલેન્જિસ એન્ડ વે અહેડ” (21મી સદી દરમિયાન સમુદ્રી વ્યૂહનીતિનો ક્રમિક વિકાસ: અનિવાર્યતાઓ, પડકારો અને ભાવિ માર્ગ) પર આધારિત છે. આ પેટા વિષયો પર આઠ સત્રોમાં પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવશે. આ પેનલ ચર્ચા ત્રણ દિવસ સુધી ચાલશે.
આ પ્રકારે વિવિધ પરિપ્રેક્ષ્યોમાં ચર્ચા કરવાની પૂરતી તક મળી શકશે. આ આઠ પેટા વિષયો નીચે ઉલ્લેખ કર્યા મુજબ છે: (1) હિન્દ- પ્રશાંત પ્રદેશમાં સમુદ્રી વ્યૂહનીતિનો વિકાસ: એકકેન્દ્રીતા, વિવિધતા, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ (2) સમુદ્રી સુરક્ષા પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવના ઉકેલ માટે અનુકૂલન વ્યૂહનીતિઓ (3) બંદરો સંબંધિત પ્રાદેશિક સમુદ્રી કનેક્ટિવિટી અને વિકાસની વ્યૂહનીતિઓ (4) સહયોગપૂર્ણ સમુદ્રી કાર્યક્ષેત્ર જાગૃતિ વ્યૂહનીતિઓ (5) નિયમ આધારિત હિન્દ- પ્રશાંત સમુદ્રી પ્રણાલીને ધ્યાનમાં રાખીને શત્રુ ભાવના અંતર્ગત કાનુની પ્રક્રિયાઓ અને સિદ્ધાંતોની અવગણનાના વધી રહેલા ચલણનો દુષ્પ્રભાવ (6) પ્રાદેશિક સાર્વજનિક- ખાનગી સમુદ્રી ભાગીદારીને પ્રોત્સાહન આપતી વ્યૂહનીતિઓ (7) ઉર્જા- અસુરક્ષા અને તેમાં ઘટાડો લાવવા માટેની વ્યૂહનીતિઓ (8) સમુદ્રમાં માનવસર્જિત અને સ્વયંસર્જિત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટેની વ્યૂહનીતિઓ
આ સત્રો બાદ આદરણીય સંરક્ષણ મંત્રી, આદરણીય વિદેશ મંત્રી તેમજ આદરણીય પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી સંબોધન કરશે. આ વાર્ષિક સંવાદ દ્વારા ભારતીય નૌસેના અને નેશનલ મેરિટાઇમ ફાઉન્ડેશન સતત હિન્દ- પ્રશાંત સમુદ્રી વિસ્તારને અસર કરતી ભૂ-રાજકીય ગતિવિધિઓ પર સઘન ચર્ચા થઇ શકે તેવું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.