લોકોએ મારા આત્મનિર્ભર ભારત વિઝનની ઉડાવી હતી મજાક, 5G ના લોન્ચિંગ પર બોલ્યા PM મોદી
'5G સેવાઓ'ના લોન્ચ પર PM મોદીએ કહ્યું, 'આજે 130 કરોડ ભારતીયોને દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી 5Gના રૂપમાં એક અદ્ભુત ભેટ મળી રહી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે દેશવાસીઓને 5G સેવાઓની મોટી ભેટ આપી છે. તેમણે દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાઓ(5G Services)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર હતા. ‘5G સેવાઓ’ના લોન્ચ પર PM મોદીએ કહ્યું, ‘આજે 130 કરોડ ભારતીયોને દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી 5Gના રૂપમાં એક અદ્ભુત ભેટ મળી રહી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે.
10 મોટી વાતો
- વડાપ્રધાન મોદીએ શનિવારે દેશમાં 5G ટેલિફોની સેવાઓ શરૂ કરી, જે મોબાઇલ ફોન પર અલ્ટ્રા હાઇ સ્પીડ ઇન્ટરનેટના યુગની શરૂઆત દર્શાવે છે. PM એ ભારતીય મોબાઈલ કોંગ્રેસ (IMC)2022માં પસંદગીના શહેરોમાં 5G સેવાઓ શરૂ કરી. આગામી કેટલાક વર્ષોમાં આ સેવાઓ ધીમે ધીમે સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- પીએમ મોદીએ કહ્યું, ’21મી સદીના વિકાસશીલ ભારતની ક્ષમતા અને તે ક્ષમતાને જોવાનો આજનો દિવસ ખાસ છે. આઝાદીના અમૃત પર્વના આ ઐતિહાસિક સમયગાળામાં, 1 ઓક્ટોબર, 2022ની આ તારીખ ઈતિહાસમાં નોંધાવા જઈ રહી છે. આજે, કરોડો ભારતીયોને દેશના ટેલિકોમ ઉદ્યોગ તરફથી 5Gના રૂપમાં એક અદ્ભુત ભેટ મળી રહી છે. 5G એ દેશના દરવાજા પર એક નવા યુગની દસ્તક છે. આ અવસરોના અનંત આકાશની શરૂઆત છે.
- પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે આપણે “ડિજિટલ ઈન્ડિયા’ની વાત કરીએ છીએ, ત્યારે કેટલાક લોકોને લાગે છે કે આ એક સરકારી યોજના છે. પરંતુ તે માત્ર નામ નથી, દેશના વિકાસ માટેનું એક મોટું વિઝન છે. આ વિઝનનો ધ્યેય એ ટેક્નોલોજીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો છે, જે સામાન્ય લોકો માટે કામ કરે છે અને તેમની સાથે જોડાય છે.
- “2014 સુધી, આપણે લગભગ 100 ટકા મોબાઈલ આયાત કરતા હતા. 2014માં ઝીરો મોબાઈલ ફોનની નિકાસ કરતા આજે આપણે હજારો કરોડના મોબાઈલ ફોનની નિકાસ કરતો દેશ બની ગયા છીએ. અમે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટનું વિસ્તરણ કર્યું છે, જે 2 થી વધીને 200 થઈ ગયું છે. અમે 4 સ્તંભ પર અને 4 દિશાઓ પર એકસાથે ધ્યાન કેન્દ્રિત કર્યું. પ્રથમ – ઉપકરણની કિંમત. બીજું- ડિજિટલ કનેક્ટિવિટી. ત્રીજું – ડેટાની કિંમત. ચોથું અને સૌથી અગત્યનું – ડિજિટલ ફર્સ્ટની વિચારસરણી.
- PMએ કહ્યું, ‘નવું ભારત માત્ર ટેક્નોલોજીના ઉપભોક્તા તરીકે જ નહીં રહે, પરંતુ તે ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણમાં ભારત સક્રિય ભૂમિકા ભજવશે. ભારત ભવિષ્યની વાયરલેસ ટેક્નોલોજીની ડિઝાઇન અને ઉત્પાદનમાં મોટી ભૂમિકા ભજવશે.
- PM મોદીએ કહ્યું, ‘2G, 3G, 4Gના સમયમાં ભારત ટેક્નોલોજી માટે બીજા દેશો પર નિર્ભર હતું. પરંતુ 5G સાથે ભારતે એક નવો ઈતિહાસ રચ્યો છે. 5G સાથે, ભારત પ્રથમ વખત ટેલિકોમ ટેકનોલોજીમાં વૈશ્વિક ધોરણ સ્થાપિત કરી રહ્યું છે. ભારત અગ્રેસર છે. આજે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ સમજી રહ્યો છે કે 5G ઈન્ટરનેટના સમગ્ર આર્કિટેક્ચરને બદલી નાખશે.
- તેણે કહ્યું, ‘અમે ડિજિટલ કનેક્ટિવિટી પર કામ કર્યું. તેમાં જેટલા વધુ લોકો જોડાય છે તેટલું સારું. 2014 સુધીમાં 60 મિલિયન લોકો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડાયેલા હતા. હવે તે 80 કરોડ થઈ ગઈ છે. ઇન્ટરનેટ કનેક્શનની વાત કરીએ તો આ આંકડો 25 કરોડ હતો જે હવે 85 કરોડની આસપાસ પહોંચી ગયો છે.
- વડાપ્રધાને કહ્યું, ‘અમારી સરકાર “ઇન્ટરનેટ ફોર ઓલ”ના લક્ષ્ય પર કામ કરી રહી છે. વધતી ડિજિટલ કનેક્ટિવિટી સાથે, ડેટાની કિંમત પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ ત્રીજો સ્તંભ હતો જેના પર અમે કામ કર્યું હતું. અમે ટેલિકોમ સેક્ટરની તમામ અડચણો દૂર કરી છે. આનાથી ડેટાના ભાવમાં ઘટાડો થયો અને દેશમાં ડેટા ક્રાંતિ થઈ.
- તેમણે કહ્યું, ‘આજે લોકલ માર્કેટમાં કે શાક માર્કેટમાં જઈને જુઓ. એક નાનો સ્ટ્રીટ વેન્ડર પણ તમને રોકડને બદલે UPI કરવાનું કહેશે. આ ફેરફાર જણાવે છે કે જ્યારે સુવિધા સુલભ હોય ત્યારે વિચાર કેવી રીતે સશક્ત બને છે. સરકાર સાચા ઈરાદાથી કામ કરે તો નાગરિકોના ઈરાદા બદલાતા વાર નથી લાગતી એ વાતનો પુરાવો છે.
- વડાપ્રધાને કહ્યું, ‘સરકારે પોતે આગળ વધીને ડિજિટલ પેમેન્ટનો માર્ગ સરળ બનાવ્યો છે. સરકારે પોતે એપ દ્વારા નાગરિક કેન્દ્રિત ડિલિવરી સેવાને પ્રોત્સાહન આપ્યું છે. ખેડૂતોની વાત હોય કે નાના દુકાનદારોની, અમે તેમને એપ દ્વારા તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવાનો માર્ગ આપ્યો છે. એ અલગ વાત છે કે અમે તેના વિશે કોઈ હોબાળો નથી કર્યો. મોટી જાહેરાતો આપવામાં આવી ન હતી. અમે દેશના લોકોની સુવિધા કેવી રીતે વધારવી અને “ઈઝ ઓફ લિવિંગ” કેવી રીતે વધારવી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું.