Pegasus Report: જાસુસી મુદ્દે કોંગ્રેસ દેશમાં પાયાવિહોણા એજન્ડા તૈયાર કરી રહી છેઃ ભાજપનો વળતો પ્રહાર
રવિશંકર પ્રસાદે કહ્યું કે વોટ્સએપે ઘણા સમય પહેલા સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે પેગાસસ (Pegasus) તેમનો ડેટા હેક કરી શકતો નથી. જેઓ પોતાનાં નામ જણાવી રહ્યા છે તે આનો પુરાવો પણ આપી રહ્યા નથી, તેઓ કહે છે કે માત્ર નામ છે પણ પુરાવા નથી.
ભારતીય જનતા પાર્ટીએ (બીજેપી) પેગાસસ સ્પાયવેર ( pegasus spyware ) દ્વારા પત્રકારો અને વિપક્ષી નેતાઓની કથિત જાસૂસીના મામલે કોંગ્રેસના આક્ષેપોને ફગાવ્યા છે. કેન્દ્ર સરકાર અથવા ભાજપને આ સમગ્ર પ્રકરણ સાથે જોડવાના પુરાવા પણ મળ્યા નથી. કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતા ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશમાં પાયાવિહોણા એજન્ડા તૈયાર કરાયો હતો, કારણ કે કોંગ્રેસનો પાયો નબળો પડી રહ્યો છે અને તે બધેથી હારી રહી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે જે પાર્ટી બાલાકોટ અને ઉરીમાં દેશના સૈનિકોની શહાદતના પુરાવા માંગતી હોય તેમની પાસેથી હવે વધુ શું અપેક્ષા રાખી શકાય. કોંગ્રેસ આજદિન સુધી ગલવાનને લઈને દેશમાં આશંકાનું વાતાવરણ સર્જી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હવે સમેટાઈ રહી છે, તેથી આ પ્રકારની રણનીતિ અપનાવી રહી છે. સૌ કોઈ જોઈ રહ્યા છો કે પંજાબ અને રાજસ્થાનમાં શું ચાલી રહ્યું છે. આ મુદ્દો બધાનુ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
પેગાસસ મુદ્દે કોંગ્રેસ દ્વારા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના રાજીનામાની માંગ અંગે અંગે રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગૃહ પ્રધાનના રાજીનામાની વાત પાયાવિહોણી અને તર્કવિહીન છે. હતાશામાં આવી ગયેલ કોંગ્રેસે આવી વાહિયાત વાતોને ચગાવી રહી છે. કોંગ્રેસના આરોપમાં કોઈ તર્ક અને તથ્યો નથી. કોંગ્રેસ પાર્ટીએ આજે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સાથે છેડછાડ કરી છે. તેથી ગૃહ પ્રધાને રાજીનામું આપવું જોઈએ.
સંસદના સત્ર પહેલા હંગામો મચાવવાનો પ્રયાસઃ પ્રસાદ
પ્રસાદે પેગાસસ અહેવાલના પ્રકાશનના સમય પર સવાલ ઉઠાવતા કહ્યું કે, સંસદને વિક્ષેપ ઊભો કરવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું, “કેટલાક લોકો વિચારી રહ્યા હતા કે, સંસદના ચોમાસુ સત્ર પહેલા જ તેને શરૂ કરી દેવામાં આવે, જેથી નવી મુશ્કેલી ઊભી કરી શકાય. એમ્નેસ્ટી પાસે ભારત વિરોધી ઘણા એજન્ડા છે. જ્યારે તેમને ભંડોળ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમ્નેસ્ટી ભારત છોડીને જતુ રહ્યું.
રવિશંકરે કહ્યું કે જ્યાં સુધી ડેટાના પુરાવા આપવામાં નહીં આવે ત્યાં સુધી તેની પ્રામાણિકતા કેવી રીતે સ્થાપિત થશે. તેમણે કહ્યું, વોટ્સએપે સુપ્રીમ કોર્ટને ઘણા સમય પહેલા કહ્યું હતું કે પેગાસસ તેનો ડેટા હેક કરી શકતો નથી. જેઓ પોતાનાં નામ જણાવી રહ્યા છે તે આનો પુરાવો પણ આપી રહ્યા નથી, તેઓ કહે છે કે નામ છે પણ પુરાવા નથી આ કેવી વાત.
“કેટલાક રાજકારણીઓ અને પક્ષો આંતરરાષ્ટ્રીય કાવતરાના કરાર એજન્ટો છે?”
રવિશંકર પ્રસાદે કહ્યું કે વિશ્વના 45 દેશો પેગાસસનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, “જ્યારે એનએસઓના વડા (પેગાસસ બનાવતી કંપની) એ કહ્યું છે કે આપણા મોટાભાગના ગ્રાહકો પશ્ચિમના દેશ છે, તો આ દ્વારા ભારતને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. શું ભારતીય રાજકારણમાં કેટલાક સોપારી એજન્ટો છે ? કેટલાક નેતાઓ અથવા પક્ષો આંતરરાષ્ટ્રીય ષડયંત્રના એજન્ટ બન્યા છે? ”
તેમણે કહ્યું કે, “અમારી પાર્ટી વિશે જે પ્રકારના અપમાનજનક શબ્દો વપરાય છે તેનાથી અમે નીચલા સ્તરે નહી ઉતરીએ. અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે આવ્યા ત્યારે રમખાણો સર્જવામાં આવ્યા હતા. જ્યારે 2019ની ચૂંટણી હતી ત્યારે પણ પેગાસસનો મુદ્દો સામે આવ્યો હતો. હવે ફરી જ્યારે પંજાબ અને રાજસ્થાનમાં કોંગ્રેસની હાલત ખરાબ છે, ત્યારે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.