Panchkula: રામ રહીમની મુશ્કેલીઓ વધી શકે છે, રણજીત સિંહ હત્યા કેસમાં આજે ચુકાદો, પંચકુલામાં કલમ -144 લાગુ
રણજીત સિંહ હત્યા કેસના મુખ્ય દોષીત ગુરમીત રામ રહીમ સીબીઆઈ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થશે, જ્યારે અન્ય ચાર દોષિતો કૃષ્ણ કુમાર, અવતાર, જસવીર અને સબદિલને પોલીસની ચુસ્ત સુરક્ષા હેઠળ સીધા સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ડેરા સચ્ચા સૌદાના વડા બાબા ગુરમીત રામ રહીમની (Gurmeet Ram Rahim) મુશ્કેલીઓ સોમવારે વધુ વધવા જઈ રહી છે. હકીકતમાં, આજે 18મી ઓક્ટોબરને સોમવારના રોજ, રણજીત સિંહ હત્યા કેસમાં (Ranjeet singh Murder Case) ચુકાદો 19 વર્ષ પછી આવવાનો છે. આ કેસમાં પંચકુલાની વિશેષ સીબીઆઈ કોર્ટ (Panchkula CBI Court) રામ રહીમ સહિત પાંચ દોષિતોને સજાની જાહેરાત કરશે. ગુરમીત રામ રહીમને રણજીત સિંહ કેસમાં, સીબીઆઈ કોર્ટ દ્વારા પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે દોષીતને સજા ફરમાવી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ પહેલેથી જ એક પત્રકારની હત્યા અને સાધ્વી પરના બળાત્કારકેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે.
આજના સંભવિત ચુકાદાને ધ્યાને લઈને ડીસીપીએ પંચકુલા શહેરમાં કલમ -144 લાગુ કરી દીધી છે. શહેરમાં 17 સ્થળે નાકાબંધી ગોઠવવામાં આવી છે અને 700 જવાન તહેનાત કરવામાં આવ્યા છે. ITBP ની ચાર ટુકડીઓ CBI કોર્ટ સંકુલ અને ચારેય પ્રવેશદ્વાર પર તહેનાત કરવામાં આવશે. આ સિવાય પોલીસ દ્વારા દરેક જગ્યાએ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
રામ રહીમે સજામાં દયાની અપીલ કરી હતી રણજીત સિંહ હત્યા કેસના મુખ્ય આરોપી ગુરમીત રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યારે પોલીસ અન્ય ચાર દોષિતો કૃષ્ણ કુમાર, અવતાર, જસવીર અને સબદિલને સીધી કોર્ટમાં કડક સુરક્ષા હેઠળ રજૂ કરશે. આ કેસમાં સીબીઆઈ કોર્ટ 12 ઓક્ટોબરે જ સજા સંભળાવવાની હતી.
પરંતુ દોષિત ડેરમુખી ગુરમીત રામ રહીમ સિંહ વતી હિન્દી ભાષામાં આઠ પાનાની અરજી લખીને સજામાં દયાની અપીલ રજુ કરવામાં આવી હતી. તેમણે અરજીમાં પોતાની બીમારીઓ અને સામાજિક કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 18 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.
કોર્ટે આ કલમોમાં દોષિત ઠેરવ્યા રણજીત સિંહ હત્યા કેસમાં 8 ઓક્ટોબરના રોજ, ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ અને કૃષ્ણ કુમારને આઇપીસીની કલમ 302 (હત્યા), 120-બી (ફોજદારી ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. તે જ સમયે, અવતાર, જસવીર અને સબદિલને કોર્ટે આઇપીસીની કલમ 302 (હત્યા), 120-બી (ગુનાહિત કાવતરું) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અજય મિશ્રાને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાની માંગ સાથે ખેડૂતોનું રેલ રોકો આંદોલન