ઓમિક્રોન વેરિઅન્ટની ભારતમાં દસ્તક વચ્ચે પણ દર ત્રણમાંથી એક વ્યક્તિ બહાર જતી વખતે માસ્ક પહેરતી નથી
ભારતમાં પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસો સામે આવ્યા બાદ પણ ભારતના લોકો માસ્ક પહેરવાના નિયમનું પાલન કરતા નથી. એક સર્વેમાં માત્ર બે ટકા લોકો જ માનતા હતા કે તેમના વિસ્તારના લોકો આ નિયમનું પાલન કરી રહ્યા છે.
ભારત (India)માં કોરોના(Corona)ના નવા ઓમિક્રોન વેરિઅન્ટે (Omicron variant) દસ્તક દઈ દીધી છે. કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક એમ કુલ ત્રણ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. આમ છતાં કોરોના ગાઈડલાઈન (Corona’s guideline)ના પાલનમાં ભારતીય લોકો ખૂબ જ બેદરકારી દાખવતા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યુ છે.
સમાચાર એજન્સીએ એક સર્વેને ટાંકીને કહ્યું કે ત્રણમાંથી એક ભારતીયનું કહેવું છે કે તેમના વિસ્તારના મોટાભાગના લોકો જ્યારે ઘરની બહાર નીકળે છે, ત્યારે માસ્ક પહેરતા નથી. માત્ર બે ટકા લોકોએ સ્વીકાર્યું કે તેમના વિસ્તાર, શહેર કે જિલ્લાના લોકો આ નિયમનું પાલન કરી રહ્યા છે.
364 જિલ્લામાં કરાયો સર્વે
એક સર્વેમાં દેશના 364 જિલ્લામાંથી 25 હજારથી વધુ લોકોના પ્રતિભાવો પ્રાપ્ત થયા છે. તેમાંથી 29 ટકા લોકોનું માનવું હતું કે માસ્ક પહેરવાના નિયમનું પાલન કરવાનો દર સારો છે. સમાચાર એજન્સીએ સર્વેના આધારે કહ્યું છે કે સપ્ટેમ્બરમાં દેશમાં માસ્ક પહેરવાનો દર ઘટીને માત્ર 12 ટકા થઈ ગયો છે. નવેમ્બરમાં તેમાં વધુ ઘટાડો થયો અને માત્ર બે ટકા પર આવી ગયો.
હાલમાં માસ્ક પહેરવાની જરૂરિયાત સૌથી વધુ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો એક ઘરમાં બે લોકો માસ્ક પહેરતા નથી તો સંક્રમિત વ્યક્તિ માત્ર 10 મિનિટમાં બીજાને વાઈરસ પહોંચાડી શકે છે, જ્યારે બંનેએ N-95 માસ્ક પહેર્યા હોય તો 600 કલાકથી વધુ સમય માટે બંનેએ રેન્જમાં હોવું જરૂરી છે. આવી સ્થિતિમાં જ્યારે વિશ્વભરના વૈજ્ઞાનિકો ઓમિક્રોન વેરિઅન્ટ વિશે ચેતવણી આપી રહ્યા છે, ત્યારે માસ્ક પહેરવાની જરૂરિયાત સૌથી વધુ બની જાય છે. મહત્વનું છે કે ઓમિક્રોનને WHO દ્વારા વેરિઅન્ટ ઓફ કન્સર્ન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. આ પ્રકાર વિશ્વના 40થી વધુ દેશોમાં ફેલાયો છે.
સર્વે કરનાર સંસ્થાના સ્થાપકે જણાવ્યુ હતુ કે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારો માસ્કના પાલન અંગે જાગૃતિ લાવવા અને તેનું પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી કાયદાકીય પગલાં લે તે અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : Jawad Cyclone: પુરીમાં ત્રાટકશે વાવાઝોડું જવાદ, પાકને થઈ શકે છે ભારે નુકસાન, રેલવેએ 75 ટ્રેનો રદ કરી
આ પણ વાંચો : અખિલેશ યાદવ મમતા બેનર્જીના વૈકલ્પિક મોરચામાં જોડાશે ! સપા પ્રમુખે કહ્યું- બંગાળની જેમ યુપીમાં પણ ભાજપનો સફાયો થશે